Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સમાધાન અર્થે ગયેલા વકીલ ઉપર પિતા-પુત્ર દ્વારા હુમલો

જામનગરમાં વકીલની હત્યા બાદ બનાવ બન્યો : પિતા-પુત્રએ એડવોકેટને માથામાં પાઇપના ફટકા મારી લોહીલુહાણ કર્યા : ઘાયલ થયેલા એડવોકેટ સારવાર હેઠળ

અમદાવાદ,તા. ૧ : જામનગરમાં વકીલની જાહેરમાં ચપ્પાના ઘા ઝીંકી કરપીણ હત્યાની ચકચારની ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં તો, અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર ખાતે સમાધાન માટે ગયેલા એક વકીલ પર પિતા-પુત્ર દ્વારા માથામાં પાઇપના ફટકા મારી જીવલેણ હુમલો કરાતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત વકીલ ભૂપેન્દ્રભાઇ પટેલને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ વકીલ દ્વારા હુમલો કરનાર પિતા-પુત્ર સહિત ચાર આરોપીઓ વિરૂધ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ચકચારી બનાવ સિવાય વટવામાં પણ બે જૂથ વચ્ચે સામસામે છૂરાબાજીની ઘટના અને સરદારનગરમાં એક યુવક પર છરી વડે હુમલાની ઘટના સામે આવતાં પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુંડાઓનો ત્રાસ બેખોફ રીતે ચાલુ રહ્યો છે, જેને લઇ હવે પૂર્વ વિસ્તારની પોલીસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નરોડા વિસ્તારમાં સિધ્ધિ વિનાયક ડુપ્લેક્સમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં ભૂપેન્દ્રભાઇ પટેલ પર ગઇકાલે તેમના ભાણેજ યશનો ફોન આવ્યો હતો કે, ઋતુરાજ ગોહિલ સાથે  ઝઘડો થયો છે તો, સમાધાન માટે સેન્ટમેરી સ્કૂલની સામે આવેલા પાવન પાન પાર્લર પાસે આવી જાઓ. જેથી ભૂપેન્દ્રભાઇ ભાણિયાના સમાધાન માટે તરત જ પાવન પાન પાર્લર પર પહોંચ્યા હતા. જયાં તેમના ભાણિયા અને ઋતુરાજ નામના શખ્સ વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે ભૂપેન્દ્ર્ભાઇ સમાધાન કરાવવા વચ્ચે પડયા હતા. પરંતુ એ વખતે આવેશમાં આવી જઇ ઋતુરાજના પિતા દિગુભા ગોહિલ અને અન્ય બે શખ્સોએ યશને મારવાનું શરૂ કર્યું હતું.,જેથી ભૂપેન્દ્રભાઇ ભાણિયાને છોડાવવા વચ્ચે પડયા હતા. પરંતુ આરોપી પિતા-પુત્ર ઋતુરાજ અને દિગુભા ગોહિલ દ્વારા વકીલ ભૂપેન્દ્રભાઇને પાઇપ વડે માથામાં બેથી ચાર જોરદાર ફટકા ઝીંકી દીધા હતા. જેના કારણે ભૂપેન્દ્રભાઇ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડયા હતા. બીજીબાજુ, આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત વકીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભૂપેન્દ્રભાઇ પટેલે આરોપી પિતા-પુત્ર સહિત ચાર આરોપીઓ સામે કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય બનાવોમાં વટવામાં સદભાવના નગરમાં બે જૂથ વચ્ચે પ્રેમપ્રકરણને લઇ સામસામે છૂરાબાજી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. તો, સરદારનગર વિસ્તારમાં એક યુવક પર જાહેરમાં છરી વડે હુમલો કરાતાં ્સતાનિક લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(7:56 pm IST)