Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

રેલવે ઓવરબ્રિજ નીચે માથામાં પથ્થર મારી મહિલાની હત્યા, લૂંટના ઇરાદે હત્યાની શંકા

અમદાવાદ તા. ૧ : શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક રહેતી મહિલાની માથામાં પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં માધવપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કોઇ અજાણી વ્યકિત અગમ્ય કારણસર મહિલાની હત્યા કરી લાશને ઢસડીને બ્રિજની બાજુમાં પિલ્લર પાસે મૂકી ફરાર થઇ ગઇ હતી. માધવપુરા પોલીસે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ સામે આવેલા શાહીબાગ રેલવે ઓવરબ્રિજ (મહાપ્રજ્ઞ ઓવરબ્રિજ) પાસેના રબારીવાસમાં વિનોદભાઇ વિઠ્ઠલભાઇ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે. વિનોદભાઇનાં બહેન સંગીબહેન (ઉ.વ.૩પ)નાં ૧પ વર્ષ અગાઉ કઠલાલ ખાતે લગ્ન થયાં હતાં, જોકે સંગીબહેન માનસિક રીતે અસ્થિર હોવાથી તેઓના છૂટાછેડા થઇ ગયા હતા.

છૂટાછેડા લીધા બાદ શાકભાજીનો વેપાર કરતા અને પોલીસ કમિશનર ઓફિસ પાસે આવેલા રબારીવાસમાં રહેતા તેમના ભાઇ વિનોદભાઇ સાથે સંગીબહેન રહેતાં હતાં. અસ્થિર મગજનાં હોવાથી અવારનવાર તેઓ બ્રિજ નીચે અથવા આસપાસના વિસ્તારમાં જતાં રહેતાં હતાં. મોટા ભાગે તેઓ બ્રિજ નીચે બેસી રહેતાં હતાં.

(4:09 pm IST)