Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આંકલાવ તાલુકાના અંબાવ ગામે પત્નીના આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી પતિએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર

આંકલાવ:તાલુકાના અંબાવ ગામે રહેતા એક યુવાને આજે સવારના સુમારે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંબાવ ગામે આવેલા અમરાદેવ મંદિર પાછળ રહેતો કિરણભાઈ બુધાભાઈ પઢિયાર (ઉ. વ. ૩૨) નંદેસરી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

આજે સવારના સાડા દશેક વાગ્યાના સુમારે કિરણ ઘરેથી નીકળ્યા બાદ પરત ના આવતા તેના પિતાએ મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો પરંતુ તેણે ઉપાડ્યો નહોતો. દરમ્યાન તેની શોધખોળ કરતા બપોરના સુમારે તે ઘરની નજીકમાં આવેલા રમેશભાઈ કાભઈભાઈ પઢિયારના ખેતરના શેઢા ઉપર આવેલ લીમડાના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેણે પ્લાસ્ટીકની દોરી વળે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેની લાશને નીચે ઉતારીને આંકલાવ સરકારી દવાખાને પીએમ માટે લઈ જવામાં આવી હતી. કિરણને ગામમાં કોઈની સાથે અદાવત નહોતી પરંતુ તેની પત્ની સેજલને કોઈની સાથે આડો સંબંધ છે, તેવો વહેમ હતો અને તેના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા તેના પિતાએ વ્યક્ત કરી હતી. આપઘાત કરનાર કિરણને બે સંતાનો પણ છે. પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:16 pm IST)