Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળાનો દરજ્‍જો આપો

ગીરનારની ગોદમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળામાં વિજયભાઈ હાજર રહેશે : સાધુ - સંતોના તમામ પ્રશ્નોના ઉકેલની ખાત્રી : પૂ. વિશ્વંભરભારતીજી - પૂ.લલીતકિશોરજી અને નરેન્‍દ્રબાપુની મુખ્‍યમંત્રી સાથે મુલાકાત

રાજકોટ : રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. વિશ્વંભરભારતીજી મહારાજની અધ્‍યક્ષતામાં શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત નરેન્‍દ્રભાઈબાપુ તથા શ્રી લલીતકિશોરજી મહારાજ દ્વારા રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગીરનાર ક્ષેત્રની સીડી (પગથિયા) નીચેથી લઈ ગુરૂ દત્તાત્રેયની ટીપ સુધીનો તાત્‍કાલીક યોગ્‍ય જીર્ણોદ્ધાર માટે યોગ્‍ય ગ્રાન્‍ટ ફાળવવી અને તાત્‍કાલીક કામ શરૂ કરાવવુ તથા અનેક મુદ્દાઓની મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા કરી અને સાધુ સંતોના પ્રશ્નોના તાત્‍કાલીક ઉકેલ માટે ખાસ રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે મુખ્‍યમંત્રી શ્રી દ્વારા ખૂબ જ સકારાત્‍મક અભિગમ દાખવેલ હતો. તેમજ ટૂંક સમયમાં જ સરકારમાં નિર્ણયો કરી અને આ બાબતે સરકારશ્રી દ્વારા યોગ્‍ય જાહેરાતો કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ હતી. તેમજ રજૂ કરવામાં આવેલ પ્રશ્નોમાંથી મહદઅંશે દરેક પ્રશ્નોનું સકારાત્‍મક નિરાકરણ કરવામાં આવેલ હતું. તેમજ આવતા વર્ષથી મહાશિવરાત્રીના પાવન પ્રસંગ તેમજ મેળાને મીની કુંભ મેળાનો દરજ્‍જો આપી અને મહાશિવરાત્રીના પ્રસંગ માટે ખાસ અલગથી ગ્રાન્‍ટ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવેલ હતી. જેનો મુખ્‍યમંત્રીશ્રી દ્વારા સહર્ષ સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો.

આ તકે મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. સ્‍વામીશ્રી વિશ્વંભરભારતીજી મહારાજ, શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત નરેન્‍દ્રબાપુ તથા શ્રી લલીતકિશોરજી મહારાજ દ્વારા વિજયભાઈનું ફુલહાર પહેરાવી પાવન પર્વ નિમિતે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સંત દર્શન તેમજ રવેડી દર્શન માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્‍યુ હતું. જેને મુખ્‍યમંત્રીશ્રીએ પોતાની ખૂબ જ વ્‍યસ્‍તતા હોવા છતાં પણ આવીને સંતો મહંતોના દર્શન અને આર્શીવાદ મેળવવા માટે આમંત્રણનો સહર્ષ સ્‍વીકાર કર્યો હતો.

સંતો - મહંતો દ્વારા મુખ્‍યમંત્રીશ્રીને મહાશિવરાત્રીના પાવન પર્વના મહિમાની વાત કરવામાં આવી હતી. જેમાં જણાવાયુ હતું કે વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે, નવનાથ, ૮૪ સિદ્ધ, ૬૪ જોગણીઓ અને જેના શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દત્તાત્રેયના બેસણા છે અને જયાં સાક્ષાત માં જગદંબા અંબાજી માતા બિરાજે છે, એવા પાવન પવિત્ર ગિરનારની ગોદમાં જૂનાગઢ વસેલુ છે. આ ગીરનાર ક્ષેત્રમાં જયાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહાશિવરાત્રીના મેળા દરમિયાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્‍યાં સતાધાર શ્રી આપાગીગાની જગ્‍યા અને શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા પૂ.શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની આજ્ઞાથી અઢારે વરણના દરેક સમાજ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્‍નક્ષેત્ર તથા સંતવાણીના કાર્યક્રમ મેળાની તા.૯ ફેબ્રુઆરી શુક્રવારે સંતો - મહંતો દ્વારા ધર્મ ધ્‍વજાનું આરોહણ કરવામાં આવશે તેમજ જાહેર અન્‍નક્ષેત્રનું શુભ ઉદ્દઘાટન કરી ખૂલ્લુ મૂકવામાં આવશે જે તા.૧૪ને બુધવાર સવાર સુધી ચાલુ રહેશે. આ અન્‍નક્ષેત્રમાં દેશભરમાંથી સાધુ - સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવો પધારી આર્શીવાદ આપશે. તેમજ દરરોજ રાત્રીના નામી - અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. સર્વે ભાવિક ભકતોને નિમંત્રણ અપાયુ છે.

(11:04 am IST)