Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

સુરતથી અમરેલી, રાજકોટ, ભાવનગર, અમદાવાદ વચ્‍ચે સસ્‍તી વિમાની સેવાનો રાજયના નાગરિક ઉડયન મંત્રી પુર્ણેશ મોદીના હસ્‍તે પ્રારંભ

આગામી દિવસોમાં અમદાવાદ અને ભુજ વચ્‍ચે આ સુવિધા શરૂ કરાશે

સુરત : સુરતને અન્ય શહેરો સાથે જોડતી હવાઈ સેવાનો શુભારંભ આજે સુરત એરપોર્ટથી કરવામાં આવ્યો છે. આ હવાઈ સેવા સુરતથી અમરેલી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર વચ્ચે દરરોજ કાર્યરત રહેશે. ગુજરાત સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એર કનેક્ટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને એકબીજા સાથે હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત વેન્ચુરા એરકનેક્ટ દ્વારા 9 સીટર વિમાનો દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી આ 4 સેક્ટર પર રોજની ફ્લાઈટનું સંચાલન કરવામા આવશે. 

આ હવાઈ સેવાનો પ્રારંભ કેન્દ્રીય કાપડ - રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ કરાવ્યો હતો. જે વિમાનની શરૂઆત થઈ છે, તેમાં 9 પેસેન્જર અને 2 પાયલોટ સાથે ઉડાન ભરશે અને સેક્ટર પ્રમાણે ઉડાન ભરશે.

સુરત-ભાવનગર - 30 મિનિટ

સુરત-અમરેલી - 45 મિનિટ

સુરત-અમદાવાદ - 60 મિનિટ

સુરત-રાજકોટ - 60 મિનિટ 

આ પ્રસંગે વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સફાઈ કર્મીઓને સુરતના આસમાનમાં પ્રથમ હવાઈ યાત્રા કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેની સાથોસાથ હરહંમેશ નાગરિકોની સુરક્ષા અને સેવામાં ખડેપગે તત્પર રહીને સુરત શહેરને ક્રાઈમ કન્ટ્રોલ અને સર્વશ્રેષ્ઠ સિક્યુરિટી સિસ્ટમમાં પ્રથમ ક્રમે બિરાજિત કરાવનાર પોલીસ જવાનોનું પણ પ્રથમ હવાઈ યાત્રા કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલી હવાઈ સેવાથી ગુજરાતને લાભ મળશે, લોકો સરળતાથી મુસાફરી કરી શકશે, આગામી દિવસીમાં અમદાવાદ અને ભુજ વચ્ચે પણ હવાઈ સેવા શરૂ થશે, આ આ પ્રસંગે કાપડ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને સાંસદ સી આર પાટીલે પણ શુભેચ્છાઓ આપી હતી

(5:49 pm IST)