Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પિયર રહેતી પત્નીને મારવા આવેલા પતિ સામે ફરિયાદ

પ્રેમ લગ્ન કરનારી યુવતીને ભારે ત્રાસ :નરોડાની સગીરે તેના પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ પતિ વારંવરા મારઝૂડ કરતો હોઈ તે પિયર આવી ગઈ હતી

અમદાવાદ, તા. ૧  કોઈ કામ-ધંધો કર્યા વિના ઘરે બેસી રહેલા પતિને પત્નીએ કામ કરવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ફટકારી હતી. પરિણામે પત્ની પોતાના પિયર જતી રહી હતી તો પતિ ત્યાં જઈને પત્નીનું ગળું દબાવ્યું હતું. જો કે, આસપાસના લોકો એકઠા થઈ જતાં તેમણે પત્નીને છોડાવી હતી. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા સગીર હતી ત્યારે તેને યુવક (હાલનો પતિ) સાથે પ્રેમ સંબંધ હતો. એ સમયે સગીરાના પિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે, યુવતી પુખ્તવયની થતાં તેણે આ જ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ઘટનાની વિગતે વાત કરીએ તો, નરોડા વિસ્તારમાં રહેતી સ્નેહા (નામ બદલ્યું છે) સગીર હતી ત્યારે તે જે ક્લાસિસમાં ભણવા જતી હતી ત્યાં ઈલેક્ટ્રિકનું કામ કરતાં મનીષ (નામ બદલ્યું છે) સાથે પ્રેમ થયો હતો. પ્રેમના અંકુર ફૂટ્યા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. દરમિયાન સ્નેહાના પિતાને આ અંગે જાણ થતાં તેમણે મનીષ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જો કે, સ્નેહા ૧૮ વર્ષની થતાં તેના લગ્ન મનીષ સાથે કરાવાયા હતા. પરણીને સ્નેહા સાસરીમાં રહેવા ગઈ હતી પરંતુ મનીષ કામ-ધંધો કરતો ના હોવાથી અલગ રહેવા કાઢી મૂકાયો હતો.

અલગ રહેવા ગયા પછી પણ મનીષ કશું કમાતો નહોતો અને ઘર ખર્ચના રૂપિયા પણ નહોતો આપતો. સ્નેહા પતિને નોકરી કરવાનું કહેતી હતી ત્યારે ગાળો બોલીને મારઝૂડ કરતો હતો. પરંતુ સ્નેહા પોતાના બાળક માટે થઈને બધું જ સહન કરી લેતી હતી. છેવટે પતિનો ત્રાસ સહન ના થતાં તે પિયર જતી રહી હતી. એ વખતે મનીષે બીજી જગ્યાએ ઘર ભાડે લીધું હતું અને સ્નેહાને કહ્યું હતું કે, તું નહીં આવે તો દવા પી લઈશ. સ્નેહા પાછી ના જતાં મનીષે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરિણામે સ્નેહા પતિ પાસે પાછી ફરી હતી.

જો કે, સ્નેહા રહેવા આવી પછી ફરીથી મનીષનો ત્રાસ શરૂ થયો હતો. ત્યારે ફરીવાર મનીષ લખાણ કરીને તેને પોતાની સાથે લઈ ગયો હતો. થોડા દિવસો બાદ ફરીથી મનીષે મારઝૂડ શરૂ કરતાં સ્નેહા પિયર આવી ગઈ હતી. આ દરમિયાન મનીષ સ્નેહાના પિયર પહોંચ્યા હતો અને ઝઘડો કરી તેનું ગળું દબાવ્યું હતું. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને સ્નેહાને છોડાવી હતી. વધુ લોકો આવી જતાં મનીષ ત્યાંથી નાસી છૂટ્યો હતો. હાલ તો પોલીસે સ્નેહાની ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

(9:01 pm IST)