News of Monday, 1st January 2018
રાજકોટ, તા. ૧ :. ગુજરાતમાં દારૂબંધી માટે જડબેસલાક કાયદાઓ હોવા છતા અને ચોક્કસ નિષ્ઠાવાન અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસો છતાં જે રીતે વડગામના અપક્ષ ધારાસભ્ય અને યુવા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર વિસ્તારનાં લોકોની ફરીયાદ આધારે ગોમતીપુર પોલીસ મથકને ઘેરાવ કરવા સાથે અન્ય પોલીસ મથકની હદમાં પણ હલ્લાબોલ મચાવ્યા બાદ તંત્ર વધુ ચૂસ્ત રીતે આ નીતિના અમલ માટે સક્રીય થવા સાથે કેટલાક વિવિધ નુસ્ખાઓ દારૂના અહીંઓની ભાળ મેળવવા શોધી કાઢયા છે.
૩૧મી ડીસેમ્બરની નવા વર્ષની ઉજવણી જાણે દારૂ પીધા વગર અધુરી રહેતી હોય તેમ ગાંધીના ગુજરાતમાં યુવા પેઢીમાં વધતા જતા અને યુવતિઓ સુધી પહોંચેલ દારૂનો 'ચેપ' આગળ વધતો રોકવા વિવિધ શહેર-જીલ્લામાંથી પીધેલાઓને ઉઠાવી તેને દારૂ કયા વિસ્તારમાંથી ? કયા અડ્ડા કે સ્ટેન્ડ પરથી ખરીદયો ? તેની માહિતી ઝડપથી મળે અને દારૂના અડ્ડા પર ત્રાટકી શકાય તેમ માટે અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ તથા તેમના બન્ને સેકટર વડાઓ વિ.ની મદદથી અમલમાં મુકેલ. અમદાવાદ પોલીસે દારૂડીયાઓને પકડી પકડી નવા વર્ષ પૂર્વે લોકઅપમાં ધકેલવા માટે મોટા પોલીસ વાન શહેરભરમાંથી દારૂડીયાઓને પકડી પડકી લોકઅપમાં ધકેલવા માટે ખાસ રસ્તાઓ પર ઉતાર્યા હતા.
આજ રીતે રાજ્ય પોલીસ તંત્રમાં જેની કાર્યદક્ષ અને નિષ્ઠાવાન આઈપીએસ અધિકારી તરીકે ગણના થાય છે. તેવા સુરત રેન્જ આઈ.જી. જી.એમ. મલ્લિકે તો એક કદમ આગળ વધી કાર્યવાહી કરી હતી.
સાઉથ ગુજરાત એટલે દારૂના દરીયા જેવાઓની રેન્જ, આ રેન્જમાં કે આ વિસ્તારના જીલ્લામાં એસ.પી. બનવુ તે એક સમયે કેટલાકનું સ્વપ્ન રહેતું. રાજ્ય સરકારે આ બાબતને ધ્યાને લઈ સહુ પ્રથમ સુરત રેન્જમાં નરસિમ્હા કોમાર જેવા કાર્યદક્ષ રેન્જ વડા મુકયા. તેમની બદલી બાદ આ રેન્જ રેઢી ન રહે તે માટે રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ એવા શમશેરસિંઘને મુકયા. તેમને બઢતી મળતા ફરી આ રેન્જમાં કોને મુકવા ? તે પ્રશ્ન થયો હતો.
આ રેન્જ માટે ઘણા સિનીયર આઈપીએસ અને વગદારો પડાપડી કરતા હતા પરંતુ રાજ્ય સરકારે લાંબુ વિચારી વિકલ્પ રૂપે જી. એસ. મલ્લિકને શોધી કાઢયા હતા. જી. એસ. મલ્લિકે પણ સંનિષ્ઠ પ્રયાસો આરંભ્યા. આટલા મોટા જીલ્લા હોય ત્યારે કોઈ ચૂક ન થાય તે માટે જી. એસ. મલ્લિક આવા અડ્ડાઓ શોધવા માટે પોતાની રેન્જ હેઠળના જીલ્લાઓમાં ઈનામ જાહેર કર્યુ કે જે પોલીસ દારૂડીયાને પકડશે તેને દારૂડિયા દીઠ રૂ. ૧૦૦ ઈનામ અને સર્વિસ સીટમાં કામગીરી વધુ સંખ્યા પકડાવે નોંધ.
આનો હેતુ એવો છે કે, આવા લોકઅપમાં ધકેલાયેલ દારૂડીયા કયાંથી દારૂ પી, કયાંથી ખરીદી અર્થાત કયા અડ્ડામાંથી ખરીદેલ ? તેનો રીપોર્ટ રેન્જ વડા જે તે જીલ્લા પોલીસ મથકના વડા પાસેથી માંગે. દારૂના અડ્ડા રજુ કયાં ધમધમે છે ? તેની માહિતી સાથે એ અડ્ડાઓ દારૂ કયાંથી મંગાવે છે ? તેની માહિતી મેળવી શકાય.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશ્નર દિપકભાઈ ભટ્ટ તથા નવનિયુકત બલરામ મીના જેવા ડીસીપી દ્વારા ખાનગીમાં આ યોજના અમલમાં મુકાય છે. એમ કહેવાય છે કે, આવા બધા દારૂડીયા કયાંથી દારૂ ખરીદે છે તેનો રીપોર્ટ સ્ટેટ મોનીટરીંગ સેલ પણ સીધો મંગાવનાર છે. આવી સ્થિતિમાં દારૂડીયા અંગે કાર્યવાહીમાં ઢીલાશ થશે તો શું ? આ બાબતે પણ ઉચ્ચકક્ષાએથી ખાસ આયોજન છે. લોકો પાસેથી આવા દારૂડીયાઓ જે રસ્તા પર ડીંગલ કરે છે તેની પણ માહિતી માંગવામા આવશે. આવા લુખ્ખાઓ (દારૂડીયા)ને ન પકડનાર સામે પણ આકરા પગલા તોળાઈ તો નવાઈ નહીં.