Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

એકટર રામ ચરણ થયો કોરોના સંક્રમિતઃ હોમ કવોરન્ટિનમાં સારવાર હેઠળ

રામ ચરણ, અલ્લૂ અર્જુન અને નિહારિકાએ ક્રિસમસની પાર્ટી યોજી હતી, ટવીટ કરીને જણાવી આ વાત

નવી દિલ્હી, તા.૨૯: દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામ ચરણ  કોરોના સંક્રમિત થયા છે. રામ ચરણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રામ ચરણે ૨૯ ડિસેમ્બરે સવારે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, રામ ચરણના ક્રિસમસ સમાચાર સામે આવ્યા હતા. રામ ચરણે ક્રિસમસની ઉજવણી તેના પિતરાઈ અલ્લૂ અર્જુન, નિહારિકા અને અન્ય સાથે પાર્ટી આયોજિત કરીને કરી હતી.

મંગળવાર સવારે રામ ચરણે ટ્વીટ કરીને જણાવ્યું કે, મારો કોરોનાવાયરસ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હાલમાં કોઈ લક્ષણો નથી અને ઘરમાં કવોરન્ટિન થયો છું. આશા છે કે ઝડપથી સાજો થઈને આપની સમક્ષ ફરી આવીશ.

આ ઉપરાંત, રામ ચરણે ટ્વીટમાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા માટે વિનંતી કરું છું. મારી સારવારના અપડેટ્સ ટૂંક સમયમાં આપતો રહીશ.

ઉલ્લેખનીય છે કે, રામ ચરણ, અલ્લૂ અર્જુન અને નિહારિકા કોનિડેલાની ક્રિસમસ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. વાયરલ થઈ રહેલી તસવીરોમાં રામ ચરણની પત્ની ઉપાસના અને અલ્લૂ અર્જુનની પત્ની સ્નેહા પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આ ક્રિસમસ પાર્ટીમાં રામ ચરણની બહેન નિહારિકા કોનિડેલા પતિ ચૈતન્ય જેવીની સાથે પહોંચી હતી. નિહારિકા અને ચૈતન્યના લગ્ન મહિનાની શરૂઆતમાં જ થયા છે.

(11:42 am IST)