Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દાદા સાહેબ ફાળકેએ તેની કારર્કિદીની શરૂઆત ગોધરાથી કરી હતીઃ સૌથી પહેલો સ્ટુડીયો ખોલ્યો હતો

ગોધરાઃ કેન્દ્ર સરકાર દ્વારા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. ફિલ્મ જગતમાં દાદા સાહેબ ફાળકેનું નામ ખુબ જ મોટું છે. જોકે, બહુ ઓછા લોકો એ જાણે છે કે, દાદા સાહેબે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતના ગોધરાથી કરી હતી. જોકે, સફળતા માટે તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. દાદા સાહેબ ફાળકેએ પોતાનો સૌથી પહેલો સ્ટૂડિયો ગોધરાના રેલવે સ્ટેશનથી થોડે દૂર ગિડવાલી રોડ વિસ્તારમાં ખોલ્યો હતો.

ગોધરાના જહૂરપૂરા શાકમાર્કેટ પાસે એક વર્ષો જૂનું મકાન છે અને આ મકાનમાં રહેતો દેસાઈ પરિવાર આજે પણ ફાળકે સાહેબના ફોટો સ્ટૂડિયોના સાક્ષી છે. દાદા સાહેબે જુદા-જુદા પ્રસંગે પોતાના કેમેરાથી દેસાઈ પરિવારના ખેંચેલા ફોટા આજે પણ પરિવાર પાસે છે. ગોધરાના આ મકાનમાં દેસાઈ પરિવારની ચોથી પેઢી રહે છે.

સુધીરભાઈ દેસાઈએ જણાવ્યું કે, દાદા સાહેબ તેમના ઘરના દરેક નાના-મોટા કાર્યક્રમમાં ફોટોગ્રાફી કરવા આવતા હતા. દેસાઈ પરિવારને આજે દાદા સાહેબે ખેંચેલી તસવીરો પર ગર્વનો અહેસાસ થાય છે. ગોધરામાં પ્રથમ ફોટો સ્ટૂડિયો શરૂ કરીને ફોટોગ્રાફીની દુનિયામાં પ્રથમ પગ મુક્યા પછી દાદા સાહેબ ફાળકે આખી દુનિયામાં ખ્યાતિ પામ્યા હતા. દેસાઈ પરિવારના સભ્યો પણ દાદા સાહેબ ફાળકેના આશિર્વાદ સ્વરૂપે આજે લેખન અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્દેશક વ્યવસાય સાથે જોડાયેલા છે.

સાયાજીરાવે કરી હતી વ્યવસ્થા

દાદા સાહેબને ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા હતી, આથી તેઓ વડોદરાના તત્કાલિન રાજવી સાયાજી રાવ પાસે ગયા હતા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાયાજી રાવે કલા ભવનમાં તેમના માટે ફોટોગ્રાફી કોર્સ કરવાની વ્યવસ્થા શરૂ કરી હતી. ફોટોગ્રાફી કોર્સ કર્યા પછી દાદા સાહેબના મનમાં પોતાનો સ્ટૂડિયો ખોલવાનો વિચાર આવ્યો. આથી  તેમણે આ માટે ગોધરા શહેર પસંદ કર્યું હતું. જોકે, ગોધરા એ સમયે સૌથી પછાત હોવાના કારણે દાદા સાહેબને સફળતા મળી નહીં અને તેઓ પુણે જતા રહ્યા હતા.

(4:58 pm IST)