Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શ્રીદેવીના અવસાનના લીધે બિગ બીએ '102 નોટ આઉટ'નું ગીતનું શૂટિંગ બંધ રાખ્યું

મુંબઇ: બોલિવૂડની ટોચની અભિનેત્રી શ્રીદેવીના દૂબઇમાં થયેલા અકાળ અવસાનના પગલે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સોમવારે (આજે ) પોતાની ૧૦૨ નોટ આઉટ ફિલ્મના એક ગીતના શૂટિંગને રદ કરાવ્યું હતું. અમિતાભ બચ્ચન અને શ્રીદેવીએ સુપરહિટ એક્શન ફિલ્મ ખુદાગવાહ સાથે કરી હતી. બંનેના પરિવાર વચ્ચે પણ સારી એવી આત્મીયતા હતી. શ્રીદેવીના અકાળ અવસાનનો અણસાર (ઇન્ટયુઇશન) સૌ પ્રથમ અમિતાભ બચ્ચનનેજ આવ્યો હતો. શનિવારે રાત્રે તેમણે લખેલું કે મન બેચેની અનુભવી રહ્યું છે. કંઇક અશુભ બનવાનું હોય એમ જીવ ગભરાય છે... એમના આ ટ્વીટ પછી ગણતરીના કલાકોમાં શ્રીદેવીના અકાળ અવસાનના સમાચાર આવ્યા હતા. ૧૦૨ નોટ આઉટ ફિલ્મ સૌમ્ય જોશીના આ જ નામના નાટક પરથી બની રહી છે જેમાં અમિતાભ બચ્ચન પોતે ૧૦૨ વર્ષના પિતા અને રિશિ કપૂર એમના ૭૫  વર્ષના પુત્રનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મના એક ગીતનું સ્વરાંકન અમિતાભ બચ્ચને પોતે કર્યું હોવાનું કહેવાય છે. આ ગીતનું ફિલ્માંકન સોમવારે થવાનું હતું. પરંતુ સોમવારે શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇ લાવીને એમના અંતિમ સંસ્કાર થવાના હોવાથી અમિતાભે સદ્ગતના માનમાં શૂટિંગ રદ કરાવ્યું હતું. હવે આ ગીતનું શૂટિંગ ક્યારે કરવામાં આવશે એ નક્કી નથી.

 

 

(3:52 pm IST)