Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ફેબ્રુઆરી ૨૦૨૨માં રિલીઝ થશે 'ગંગુબાઇ કાઠિયાવાડી'

ફરીવાર બદલાઈ 'ગંગુબાઇ કાઠિયાવાડી'ની રિલીઝ ડેટ, ‘RRR’ સાથે ટક્કર ટાળવા લેવાયો નિર્ણયઃ 'ગંગુબાઇ કાઠિયાવાડી' અને ‘RRR’ બંને ફિલ્મોમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ છેઃ ફિલ્મનું ટ્રેલર આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો

મુંબઇ, તા.૧૫: સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'ને જોવા માટે ફેન્સને હજી થોડી વધારે રાહ જોવી પડશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ કેટલીયવાર પાછી ઠેલાઈ છે અને હવે વધુ એકવાર નવી રિલઝ ડેટ સામે આવી છે. થોડા મહિનાઓ પહેલા સંજય લીલા ભણસાલીએ જાહેરાત કરી હતી કે, ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ 'ગંગુબાઇ કાઠિયાવાડી' રિલીઝ થશે. પરંતુ હવે ભણસાલી પ્રોડકશન તરફથી ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ છે.

'ગંગુબાઇ કાઠિયાવાડી' હવે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેની માહિતી આપતું પોસ્ટ શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમને જણાવતાં આનંદ થાયય છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'ની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે. સંજય લીલા ભણસાલી અને ડો. જયંતીલાલ ગડા ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ હવે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.

મહત્વનું છે કે, એસ.એસ.રાજમૌલીની ફિલ્મ RRR'6 જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મ સાથે કલેશ ટાળવા માટે 'ગંગુબાઇ કાઠિયાવાડી'ના મેકર્સે રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અજય દેવગણે બંને ફિલ્મોની ટીમ વચ્ચે મધ્યસ્થી કરાવીને આ ફેરફાર કરાવ્યો છે. અજયને લાગ્યું કે, 'ગંગુબાઇ કાઠિયાવાડી' અને 'RRR' વચ્ચે કલેશ થતાં બંને ફિલ્મોની કમાણી પર અસર થશે. એટલે જ તેણે ફિલ્મના મેકર્સને આ વિશે વિચારવાનું કહ્યું હતું. અજય દેવગણ સંજય લીલા ભણસાલી અને રાજમૌલી બંને સાથે સારા સંબંદ્યો ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ બંને ફિલ્મોમાં જોવા મળશે. 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં અજય દેવગણ નાના પણ મહત્વના રોલમાં છે. જયારે ‘RRR'માં આલિયા ભટ્ટ અને અજય દેવગણ બંને સાઉથના સુપરસ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે.

‘RRR'ના ડાયરેકટર રાજમૌલીએ 'ગંગુબાઇ કાઠિયાવાડી'ની રિલીઝ ડેટ પાછળ ખસેડવા માટે સંજય લીલા ભણસાલી અને જયંતીલાલ ગડાનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કરતાં લખ્યું, જયંતીલાલ ગડા અને સંજય લીલા ભણસાલી દ્વારા રિલીઝ ડેટ પાછળ ખસેડવાના નિર્ણયની અમે પ્રશંસા કરીએ છીએ. અમે દિલથી 'ગંગુબાઇ કાઠિયાવાડી'ને શુભકામના આપીએ છીએ.

'ગંગુબાઇ કાઠિયાવાડી' જાણીતા લેખત હુસૈની ઝૈદીના પુસ્તક માફિયા 'કિવન્સ ઓફ મુંબઈ'ના એક પ્રકરણ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈના રોલમાં જોવા મળશે. અજય દેવગણ ઉપરાંત હુમા કુરેશી પણ ફિલ્મમાં કેમિયો રોલમાં દેખાશે. આ ફિલ્મ અગાઉ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ બાદમાં મેકર્સે ૨૦૨૧માં રિલીઝ થશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ પાછી ઠેલાઈ હતી.

(5:14 pm IST)