Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના બાપુજી તરીકે પ્રખ્‍યાત અમિત ભટ્ટ પહેલા બાપુજીનો રોલ ‘જેઠાલાલ'ને કરાયો હતો ઓફર

શો ડાયરેક્‍ટર અસિત મોદીની બાપુજીના રોલ માટે અમિત ભટ્ટ પહેલા તે જ શોના આ કલાકાર હતા પહેલી પસંદ

મુંબઇઃ લોકોના હૃદય પર કદાપી ન ભુસાય તેવી છાપ છોડનાર ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા' શોમાં બાપુનો પાત્ર ભજવતા અમિત ભટ્ટ આ પાત્ર માટે મેકર્સની પહેલી પસંદ ન હતા. મેકર્સ દ્વારા આ રોલ તે જ શોમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને પહેલા ઓફર કરવામાં આવ્‍યો હતો. પરંતુ તેમણે બાપુજીનું પાત્ર ભજવવાની ના પાડતા આ રોલ અમિત ભટ્ટને ઓફર કરાયો હતો, જે તેણે સ્‍વિકાર્યો હતો અને જે બાદ ઇતિહાસ રચાઇ ગયો હતો.

છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી દર્શકોના હ્રદય પર રાજ કરતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો હજુ પણ એ જ રીતે દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. અનેક પાત્રો તો એવા છે જેમણે દર્શકોના હ્રદય પર એવી અમીટ છાપ છોડી છે જેને ભૂંસવી અશક્ય છે. જેમાં ચંપકકાકા એટલે કે બાપુજીનું પાત્ર, જેઠાલાલ, દયાલાલ, બબીતાજી, ટપુ વગેરે સામેલ છે. આમ તો દરેક પાત્રની એક અલગ ફેન ફોલોઈંગ છે પરંતુ આ પાત્રોએ જબરદસ્ત લોકપ્રિયતા આ શો દ્વારા મેળવી છે. આવું જ એક પાત્ર છે બાપુજી...જેને શરૂઆતથી જ અમિત ભટ્ટ નામના કલાકાર ભજવે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ બાપુજીના પાત્ર માટે અમિત ભટ્ટ એ મેકર્સની પહેલી ચોઈસ નહતા.

અમિત ભટ્ટ છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ છે અને બાપુજીના પાત્રને તેમણે પોતાના અભિનયથી લોકપ્રિય બનાવી દીધુ છે. પરંતુ મેકર્સ માટે અમિત ભટ્ટ આ પાત્ર માટે પહેલી પસંદગી નહતા કારણ કે મેકર્સના મનમાં તે સમયે એક એવા કલાકાર હતા જેમને તેઓ ચંપકકાકા માટે એકદમ પરફેક્ટ કલાકાર માનતા હતા. હવે તમને પણ એવું થતું હશે કે આખરે એવા કયા કલાકાર વિશે મેકર્સના મનમાં વિચાર ચાલતા હતા તો તમને જણાવીએ કે આ કલાકાર બીજુ કોઈ નહીં પરંતુ હાલ જેઠાલાલ બનીને લોકોને હસાવી હસાવીને પેટ દુખાડી દેનારા દિલિપ જોશી છે. મેકર્સ ઈચ્છતા હતા કે બાપુજીનું પાત્ર દિલિપ જોશી ભજવે. પરંતુ એ શક્ય બન્યું નહીં અને પછી પસંદગીનો કળશ અમિત ભટ્ટ પર ઢોળાયો.

આ ખુલાસો જેઠાલાલ એટલે કે દિલિપ જોશીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાપુજીનો રોલ સૌથી પહેલા તેમને ઓફર કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યાં નુજબ અસિત મોદી દિલિપ જોશીને સારી રીતે ઓળખતા હતા આથી જ્યારે આ સિરિયલ બનાવવાની વાત ચાલતી હતી ત્યારે તેમણે દિલિપ જોશીને બાપુજીનો રોલ ઓફર  કર્યો હતો. પરંતુ દિલિપ જોશીએ ના પાડી દીધી કારણ કે તેમને એવું લાગતું હતું કે તેઓ આ પાત્રમાં ફીટ બેસશે નહીં એટલે કે તેઓ જામશે નહીં. દિલિપ જોશીને ત્યારબાદ જેઠાલાલનું પાત્ર ઓફર કરાયું. તે સમયે પણ તેમને આ પાત્ર વિશે જોકે શંકા તો હતી પરંતુ આમ છતાં તેમણે હા પાડી દીધી. અને પછી જે થયું તે ઈતિહાસ રચાઈ ગયો. દિલિપ જોશીએ જેઠાલાલના પાત્રને આઈકોનિક પાત્ર બનાવી દીધુ. બીજી બાજુ બાપુજીના પાત્રને પણ અમિત ભટ્ટે સંપૂર્ણ ન્યાય આપ્યો અને આ પાત્રએ લોકોના હ્રદય પર અમીટ છાપ છોડી.

(5:51 pm IST)