Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

૩ સુપર સ્ટારવાળી 'સુર્યવંશી' પર ભારે પડી રજનીકાંતની ફિલ્મ 'અન્નતે'

અન્નતે ફિલ્મે ૩ દિવસમાં કરી રૂ.૧૦૦ કરોડની કમાણીઃ સૂર્યવંશી ફિલ્મે ૩ દિવસમાં કરી રૂ.૭૦ કરોડની કમાણી

મુંબઇ,તા. ૯: કોરોનાના કહેર બાદ સિનેમાદ્યરોમાં ફરી એકવાર દર્શકો જોવા મળી રહ્યા છે. ઘણા ફિલ્મી સિતારાઓએ પોતાની ફિલ્મો રીલિઝ કરવાનું શરૂ કરી દીધું છે.

જેમાં હાલમાં જ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'અન્નતે' અને અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ સ્ટારર ડિરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સુર્યવંશી' રીલિઝ થઇ છે. જેમાં 'સુર્યવંશી' ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાદ્યરોમાં પહોંચ્યા હતા. પણ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'અન્નતે' ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'અન્નતે' ૪ નવેમ્બરે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી દીધી હતી. ટ્રેડ એનાલિસ્ટ કૌશિક એલએમએ સોશીયલ મીડિયામાં રજનીકાંતની ફિલ્મ 'અન્નતે' ની બોકસ ઓફિસ કલેકશન શેર કર્યું હતું. જેમાં આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડના આંકડાને પાર પાડ્યો હતો. રજનીકાંતની ફિલ્મ જયારે પણ રીલિઝ થાય છે ત્યારે દક્ષિણ ભારતના દર્શકો ઘણી ધુમધામથી તેની ફિલ્મ જોવા માટે જાય છે.

અક્ષય કુમાર, કેટરીના કૈફ, રણવીર સિંહ અને અજય દેવગણ સ્ટાર ફિલ્મ 'સુર્યવંશી' બોકસ-ઓફિસ પર સારી કમાણી કરી છે. પહેલા અને બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ ફિલ્મે બોકસ-ઓફિસ પર બંપર કમાણી કરી છે. 'સુર્યવંશી' ફિલ્મે કુલ ૩ દિવસમાં ૭૦ કરોડથી વધુનું કલેકશન કરી લીધું છે.

'સુર્યવંશી' ફિલ્મે બોકસ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોકસ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેકશન કર્યું છે.

તો વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે ૮.૧૦ કરોડ, બીજા દિવસે ૮.૫૮ કરોડની કમાણી સાથે કુલ ૧૬.૬૮ કરોડની કમાણી કરી છે. 'સુર્યવંશી' ફિલ્મને દિવાળી વેકેશનનો ફાયદો મળી રહ્યો છે. જોકે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આવનારા સપ્તાહમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણીના આંકડાને પાર કરી દેશે.

(10:15 am IST)