Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રિશી કપૂરને હજુ ન્‍યૂયોર્ક સારવાર માટે રોકાવવુ પડે તેમ હોવાથી આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નની વાત ઉપર બ્રેક

મુંબઈ : મીડિયામાં જોરદાર ચર્ચા છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવાના છે. આ બંનેના લગ્ન માટે બોલિવૂડ ભારે ઉત્સાહિત છે. જોકે હવે મોટા સમાચાર આવતા આ લગ્નની ચર્ચા પર પુર્ણવિરામ લાગી ગયું છે. હકીકતમાં સમાચાર હતા કે રણબીરના પિતા રિશી કપૂર આ મહિને પોતાના મુંબઈના ઘરે પરત આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કારણ કે તેમની તબિયત હવે સારી છે. જોકે હવે આમાં ટ્વિસ્ટ આવ્યો છે.

હવે જે ખબર આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે રિશી આવતા મહિને ભારત નહીં આવે. હાલ રિશી કપૂરની સારવાર ચાલી રહી છે. હાલતમાં સુધારો છે પરંતુ સારવારમાં હજુ સમય લાગશે. ન્યૂયોર્કમાં સારવાર લઈ રહેલા રિશી કપૂરને માર્ચમાં ભારત આવવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે એક્ટરે આ સંભાવના નકારી દીધી. આશા છે કે આગામી થોડા મહિનાઓમાં તેઓ ઘરે જશે પરંતુ આ મહિનાના અંતે મુંબઈ જવું અસંભવ છે. આમ, રણબીર અને આલિયાના લગ્નની ચર્ચા પર પુર્ણવિરામ લાગી ગયું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને સતત ચર્ચામાં છે. બંને એકબીજાના ફેમિલી ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. રણબીર કપૂર કેટલીયવાર આલિયાના ઘરની મુલાકાત લઇ ચૂક્યો છે. તો આલિયા પણ રણબીરના પરિવારના સભ્યો સાથે સંબંધો મજબૂત કરતી જોવા મળી રહી છે. હવે માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ સગાઇ કરી લેશે. રિપોર્ટ પ્રમાણે રણબીરની માતા નિતુ સિંહ ઇચ્છે છે કે બંને જલ્દીથી સગાઇ કરી લે અને સંબંધોમાં આગળ વધે. જેથી સગાઇ માટે તેમણે જૂન મહિનો પસંદ કર્યો છે.

(4:37 pm IST)