Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

હું મારા માતા-પિતાના વિશ્વાસ પર ખરી ઉતરી છું: સારા અલી ખાન

મુંબઇ: હોનહાર અભિનેત્રી સારા અલી ખાને કહ્યું હતું કે મારામાં અભિનય પ્રતિભા છે એવો મારાં માતાપિતાનો વિશ્વાસ મારે સાચ્ચો પુરવાર કરવાનો છે. 'મારી માતા અને મારા પિતા બંને નીવડેલા અદાકારો રહ્યા છે અને વરસોથી બોલિવૂડમાં સક્રિય છે. મારી પ્રતિભા વિશે બીજા લોકો શું કહે છે એના કરતાં મારા માટે મહત્ત્વની વાત એ છે કે મારાં માતાપિતાએ મારા પર મૂકેલો વિશ્વાસ યથાર્થ પુરવાર થાય' એમ સારાએ કહ્યું હતું.સારાની અભિષેક કપૂર નિર્દેશિત અને સુશાંત સિંઘ રાજપૂત અભિનિત ફિલ્મ કેદારનાથ રજૂ થવાની તૈયારી છે. હાલ આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત સારા કરણ જોહર અને રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ કરી રહી છે જેમાં મોખરાના અભિનેતા રણવીર સિંઘ સાથે એ ચમકી રહી છે. એની હજુ એક પણ ફિલ્મ રજૂ થઇ નથી ત્યાં એને ત્રીજી ફિલ્મની ઑફર પણ મળી હતી. સમીક્ષકો એને પોતાની માતા અમૃતા સિંઘના વ્યક્તિત્વને મળતી આવતી ગણે છે.સારાએ કહ્યું કે અત્યારે મારી પ્રાયોરિટી એ છે કે મારાં માતાપિતાની કસોટીમાં હું સૌ પહેલાં પાર ઊતરું. બીજા બધાંની વાત તો પછી આવે છે. પહેલાં માતાપિતાને ખાતરી થવી જોઇએ કે તેમણે મારા પર મૂકેલો વિશ્વાસ સાચ્ચો છે.જો કે કેદારનાથ સામે અત્યારે જોરદાર વિરોધ પણ થઇ રહ્યો છે અને આ ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપે છે એવા કહેવાતા આક્ષેપ બદલ ગુજરાત હાઇકોર્ટમાં આ ફિલ્મ પર બૅન મૂકવાની અરજી પણ રજૂ થઇ ચૂકી છે.

 

(5:12 pm IST)