Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બોલિવૂડના શહેનશાહ ટ્વિટરથી નારાજ

તો હવે અમિતાભ બચ્ચન ટ્વિટરને કહી દેશે અલવિદા!

મુંબઇ તા. ૧ : બોલિવુડની સાથે સોશિયલ મીડિયામાં 'શહેનશાહ' અમિતાભ બચ્ચને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને છોડવાનો સંકેત આપ્યો છે. અમિતાભ ટ્વિટરથી નારાજ લાગી રહ્યા છે. બુધવારે મોડી રાત્રે તેમણે ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યકત કરી. બચ્ચને ટ્વિટર પર આરોપ લગાવ્યો કે તેમના ફોલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યા છે.

બચ્ચને રાત્રે ૧૧.૩૫ વાગ્યે ટ્વીટ કર્યું, 'ટ્વિટર, તમે મારા ફોલોઅર્સ ઘટાડ્યા? આ મજાક લાગી રહ્યું છે. હવે સમય આવી ગયો છે વિદા દેવાનો. અત્યાર સુધીના સફર માટે આભાર.' આ સિવાય અમિતાભે લગભગ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉલ્લેખ કરીને ટ્વીટમાં આગળ લખ્યું, 'આ સમુદ્રમાં ઘણીં બધી માછલીઓ છે અને તે વધારે રોચક છે.'

અમિતાભ બચ્ચેને તેમની એક ફિલ્મની તસવીર પણ આ ટ્વિટ સાથે શેર કરી છે જેમાં તેઓ ગુસ્સામાં હોય તેવું તસવીર પરથી પ્રગટ થઈ રહ્યું છે. તસવીરમાં તેમઓ એક વિલનનું ગળું પકડીને ગુસ્સો વ્યકત કરી રહ્યા છે, તેમણે નારાજ થઈને ટ્વિટરનું ગળું પકડ્યું હોય તેવો સંકેત પણ તસવીરમાંથી પ્રગટ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પછી ભારતમાં બીજા નંબરના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારા શખ્સ બન્યા હતા, પણ બુધવારના આંકડા પછી અભિનેતા શાહરૂખ ખાન બીજા નંબર પર આવી ગયો છે. આ ખબર લખવા સુધીમાં શાહરુખ ખાનના ૩,૨૯,૩૬,૨૬૭ ફોલોઅર્સ છે, જયારે અમિતાભ બચ્ચનના ૩,૨૯,૦૦,૫૯૦ ફોલોઅર્સ છે.

જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે ટ્વિટર પોતાના આ ખાસ યુઝર્સને જતા કેવી રીતે રોકશે, અને શું અમિતાભ બચ્ચના ટ્વિટર છોડવાના સંકેત સામે ટ્વિટર કોઈ નિવેદન આપે છે કે નહીં.

(9:53 am IST)