Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જામનગર : ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો

મંત્રીશ્રી દ્વારા યુવા કવિ આદિત્ય જામનગરીનું અભિવાદન કરાયું

જામનગર તા.૨૭: અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયમંત્રીશ્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ લોક પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સૂચનાઓ આપી હતી અને લોકોના પ્રશ્નોને સહ્રદયી ભાવે સાંભળી તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી.

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મજૂર મહાજન સંઘ જામનગર સંચાલિત સંગઠનો ડેરી ઉદ્યોગો, દિગ્જામ વુલન મીલ, બોમ્બે ડાઇંગ, મીઠા ઉદ્યોગ, જી.ઇ.બી., એસ.ટી.કોર્પોરેશન, નિવૃત કર્મચારીઓ વગેરે મંડળો દ્વારા સુપ્રિમ કોર્ટ અને રાજયસ્તરે હાઇકોર્ટની ગાઇડલાઇન અનુસાર મીનીમમ માસિક પેન્શન રૂ.૭૫૦૦/- આપવા બાબત સરકારશ્રીને રજૂઆત કરવા આવેદન આપવામાં આવ્યું હતું. આ સાથે જ તાજેતરમાં જામનગરનાં યુવા કવિ આદિત્ય જામનગરીનાં ત્રણ હિન્દી-ઉર્દૂ કાવ્યસંગ્રહ 'ચરાગ-એ-દૈર', 'બગાવત' અને 'ઇંતઝાર'નું પ્રસિદ્ઘ રામ કથાકાર પૂ.મોરારિબાપુનાં હસ્તે વિમોચન થયું હતું જેને પગલે નગરનાં સાંસ્કૃતિક ગૌરવમાં વધારો થયો હતો. જે નિમિત્ત્।ે રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા કવિ આદિત્ય જામનગરીનાં કાવ્ય સંગ્રહોનું સ્વાગત કરી કવિનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે સમાજસેવક ચિરાગભાઇ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતાં. રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સાહિત્યકારોને પ્રદેશ તથા રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાનાં સંવાહક ગણાવી રાષ્ટ્રભાષામાં નગરનાં કવિનાં ત્રણ કાવ્યસંગ્રહનાં પ્રકાશનનાં અવસર પર આનંદ વ્યકત કર્યો હતો.            

ઉલ્લેખનીય છે કે, રાજયમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા સમયાંતરે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. લોક લાગણીને વાચા મળે, લોકપ્રશ્નોનું તત્કાલ નિવારણ થાય એ જનપ્રતિનિધિનું કર્તવ્ય છે. રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જનપ્રતિનિધિ તરીકેના દાયિત્વના નિર્વહન કરવા માટે સમયાંતરે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મંત્રીશ્રી દ્વારા યોજાતા આ લોકદરબાર જનતા અને સરકાર વચ્ચેનો સાચો સેતુ સાબિત થઇ રહ્યું છે.

(1:11 pm IST)