Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જામનગર-હૈદરાબાદ, જામનગર-બેંગલુરુ વિમાની સેવા

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે લીલીઝંડી આપી ફલાઇટનો પ્રારંભ

જામનગર તા.૨૭: વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જયોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરાવી સેવાનો શુભારંભ કરાયો હતો.

આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને યાદ કરી ગુજરાતને હવાઈ જોડાણનો વધુમાં વધુ લાભ મળે તે માટે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ ચર્ચા પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીએ જામનગરની પ્રમુખતા, જામનગરના ગર્વ સમાન હાલારી પાઘડી અને સંરક્ષણ દળ, ખાડી વિસ્તારમાં જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતે જામનગરની શાનને જણાવી જામનગર અને આસપાસના વિસ્તારને વધુ સારી એર કનેકિટવિટીનો લાભ મળશે તે માટે કટિબદ્ઘતા દર્શાવી હતી. જામનગર એર એન્કલેવ માટે પણ ૧૩ કરોડની રાશિ આપવામાં આવી છે જેના થકી આધુનિક કામગીરી થઇ રહી છે તેમ ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીએ ઉડાન યોજના દ્વારા ભારતના નાના શહેરોને એક નવી ઉડાન મળી છે તેમ કહી જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ૨૦૨૪-૨૫ સુધીમાં નવા ૧૦૦૦ એર રૂટ અને નવા ૧૦૦ એરપોર્ટ બનાવવા નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાંના ૩૬૩ રૂટ ચાલુ થઇ ચૂકયા છે અને ૫૯ એરપોર્ટ બની ચૂકયા છે ત્યારે આગામી લક્ષ્યમાં ગુજરાતને વધુ ૧૦ નવી ફ્લાઇટ મળી શકે છે જે અંગે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રીશ્રીએ સકારાત્મક સંકેત આપ્યા છે.

ગુજરાત રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જામનગરને મળેલી નવી બે સેવાઓ દ્વારા જામનગરના એમ.એસ.એમ.ઇ. સેકટરને ખૂબ લાભ થશે તેમજ જામનગર નજીક દ્વારકા સાથે પ્રવાસન પણ જોડાયેલું છે ત્યારે આ વિમાની સેવા દ્વારા પ્રવાસનનો પણ ખુબ વ્યાપ વધશે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રીશ્રી જયોતિરાદિત્ય સીંધીયાનો આભાર વ્યકત કરવા સહ બીજા ૮ રૂટ અમદાવાદથી મીઠાપુર, અમદાવાદથી કેશોદ, ભાવનગરથી પુને, કેશોદથી મુંબઇ, સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનીટીથી સુરત, વડોદરાથી દિવ અને સુરતથી દિવ એવા છે કે જે ઓપરેશનલ થવાના બાકી છે અને કુલ ૭ રૂટ અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી દિલ્હી, અમદાવાદથી જામનગર, અમદાવાદથી મુન્દ્રા, સુરતથી જેસલમેર, જામનગરથી દિલ્હી અને સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુઓફ યુનીટી એવા છે કે, હાલ પુરતા બંધ છે. આ રૂટને પણ જલ્દી થી જલ્દી શરૂ કરવામાં આવે એવી મંત્રીશ્રીને વિનંતી કરી હતી. સાથે જ શેત્રુંજય ડેમથી સી-પ્લેન સેવા શરૂ કરવા માટે નવી સાઇટનુ ફીઝીબીલીટી સર્વે કરીને ઝડપથી આ જગ્યાએથી સી-પ્લેન સેવા શરૂ કરવા કેંન્દ્રીય મંત્રીશ્રીને આગ્રહ કર્યો હતો.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એવીએશન પાર્ક અને એવીએશન SEZ તેમજ એરકાર્ગો શરૂ કરવા માટે ગુજરાત સરકારે ટેકનો ઇકોનોમી ફીઝીબીલીટીની કામગીરી હાથ ધરેલ છે.   ઉપરાંત કેશોદ એરપોર્ટને પણ જેમ બને તેમ જલ્દીથી કાર્યરત કરીને અમદાવાદથી કેશોદ અને કેશોદથી મુંબઇની ફલાઇટ શરૂ કરવા તેમજ હાલમાં આર.સી.એસ. ઉડાન-૨.૦ અંતર્ગત ટ્રુ જેટ મારફત સવારની એક ફલાઇટ અમદાવાદ-પોરબંદર-અમદાવાદને બહોળો પ્રતિસાદ મળતાં આ રૂટ ઉપર બીજી ફલાઇટ પણ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા આર.સી.એસ. ઉડાન હેઠળ આવતી તમામ ફલાઇટ માટે વપરાતા એટીએફ ઉપર લાગતા વેટનો દર એક ટકો કરવામાં આવેલ છે ત્યારે ઉત્ત્।ર ગુજરાતમાં એર કનેકટીવીટી વધે તે માટે ડીસા એરપોર્ટને રાજય સરકારને હસ્તક સોંપવા અને એરપોર્ટ કાર્યરત કરી અમદાવાદ-ડીસા-જયપુર તેમજ રાજસ્થાનના અન્ય વિસ્તારોને સરળ એર કનેકટીવીટી તથા મહેસાણા અને અમરેલી એરપોર્ટને પણ આર.સી.એસ. હેઠળ સમાવેશ કરીને ફલાઇટ શરૂ કરવા વિશે અનુરોધ કરી ગુજરાત એર કનેકટીવિટીમાં વધુ સજ્જ બને તે માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ એરપોર્ટ ખાતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શ્રી એ કહ્યું હતું કે, જામનગર એરપોર્ટ એ સૌથી જૂનું એન્કલેવ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે જામનગરને ઉડાન યોજના દ્વારા નવી પાંખો મળી છે, ત્યારે ઉડાન યોજના દ્વારા હૈદરાબાદ-બેંગલોરની ફ્લાઈટ સાથે ભારતના નાના શહેરોને એર કનેકિટવિટી સાથે જોડવાની પ્રધાનમંત્રીશ્રીની નેમને સાકાર કરવા માટેનું વધુ એક પગલું આગળ ભરાયું છે.

જામનગર એમ.એસ.એમ.ઈ, રિલાયન્સ રિફાઇનરી, પ્રવાસનની દ્રષ્ટીએ પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે તેથી જામનગરના નાગરિકો વ્યાપાર અને ટુરિઝમ માટે વિમાની સેવાઓનો ઉપયોગ કરે છે ત્યારે જામનગરની સમગ્ર દેશ સાથે જોડવા માટેની આગવી પહેલ થકી પ્રધાનમંત્રી શ્રીના'સબ જુડે સબ ઉડે' સંદેશને ચરિતાર્થ કરવામાં આવ્યો છે. 'હવાઇ ચપ્પલ સે હવાઈ સફર તક'ના વિચાર સાથે પ્રધાનમંત્રીશ્રીએ સામાન્ય માણસને પણ એર કનેકિટવિટીનો લાભ મળે તેવું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા આગામી વર્ષોમાં ભારતમાં નાના શહેરોને જોડીને નવા અનેક રૂટ દ્વારા ભારત એર કનેકિટવિટીમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે તેમજ જામનગર એરપોર્ટ અને એરફોર્સના પ્રશ્ન અંગે જલદી નિર્ણય લઇ જામનગરને વધુ સુવિધાયુકત બનાવાશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યુ હતું.  સાંસદશ્રીએ જામનગર ખાતે ફ્લાઇટને વેવ ઓફ કરી રવાના કરી હતી.

આ પ્રસંગે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને સ્ટાર એરના સી.ઇ.ઓ કેપ્ટન સીમરનસિંઘ વર્ચ્યુઅલી તેમજ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:55 pm IST)