News of Saturday, 26th March 2022
(નિલેશ ચંદારાણા-મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. ગુજરાત રાજય એસ. ટી. કર્મચારી મહામંડળના નવા વરાયેલા પ્રમુખ જયુભા ડી. જાડેજાનું વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે એસ. ટી. કર્મચારી મંડળ અને શ્રી બાપા સીતારામ ગ્રુપ-વાંકાનેર દ્વારા ભવ્યાતી ભવ્ય સન્માન કાર્યક્રમ કરી પ્રમુખશ્રી પ્રત્યેની લાગણી વ્યકત કરી હતી.
આરોગ્યનગર ચોક ખાતેથી જયુભા જાડેજાને ઘોડા ઉપર બેસાડી બેન્ડ પાર્ટીના સંગીત અને આતશબાજી સાથે ગુજરાતના એસ. ટી. કર્મચારીએ બિનહરીફ વરાયેલા પ્રમુખને વાજતે-ગાજતે સત્કાર સમારંભ સ્થળે લાવ્યા હતાં.
આ જાજરમાન કાર્યક્રમમાં ગુજરાત એસ. ટી. કર્મચારી મહામંડળના મહામંત્રી બટુકસિંહ મકવાણાનું પણ સૌ કર્મચારીઓએ સન્માન કર્યુ હતું. ધિરેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારંભમાં વાંકાનેર ગાયત્રી શકિતપીઠના સર્વેસર્વા શ્રી અશ્વિનભાઇ રાવલના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારંભ થયો હતો. આ સમારંભમાં મુખ્ય અતિથિઓ અમદાવાદના મુખ્ય મજદુર અધિકારી કે. ડી. દેસાઇ, મુખ્ય પરિવહન અધિકરી એન. એસ. પટેલ, મુખ્ય સુરક્ષા અધિકારી પી. કે. ગઢવી, વિભાગીય નિયામક વાણીજય ડી. એમ. જેઠવા, વર્કસ મેનેજર એન. બી. સિસોદીયા, કંટ્રોલ ઓફ સ્ટોર્સ જે. એચ. સોલંકી આ તમામ અમદાવાદ ઉપરાંત, વિભાગીય નિયામક-સુરતના એસ. એચ. જોષી, પાલનપુરના કે. એસ. ચૌધરી, વિભાગીય નિયામક-અમદાવાદના જે. એન. પટેલ, ભુજના વાય. કે. પટેલ, જામનગરના પી. એમ. પટેલ, જુનાગઢના જી. ઓ. શાહ, રાજકોટના જે. બી. કલોત્રા, અમરેલીના બી. સી. જાડેજા, યાંત્રીક ઇજનેર -રાજકોટના એન. સી. સોની, ગુજરાત એસ. ટી. કર્મચારી મંડળના કા. પ્રમુખશ્રી કનુભાઇ બારોટ, દિલીપસિંહ ગોહીલ, પી. એફ. ટ્રસ્ટી -અમદાવાદના એસ. એસ. ક્ષત્રીય (ગુડુસિંગ), એ. એચ. પરમાર (શંભુભાઇ) ઉપરાંત કર્મચારી મંડળના હોદેદારો તેમજ વાંકાનેર સહિત ગુજરાતના જુદા જુદા એસ. ટી. ડેપોના ડ્રાઇવર-કંડકટર વહીવટી અને વર્કશોપના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
દિપ પ્રાગટય બાદ મંચસ્થ અગ્રણીઓ અને કર્મચારી યુનિયન હોદેદારોનું વાંકાનેર એસ. ટી. ડેપોના કર્મચારીઓ દ્વારા પુષ્પહાર-મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વાંકાનેર એસ. ટી. ડેપો મેનેજર કવીતાબેન ભટ્ટ સહિત જુદા જુદા ડેપોના મહિલા મેનેજરો પણ પધાર્યા હતાં. તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત એસ. ટી. કર્મચારી મહામંડળના બીનહરીફ વરણી પામેલ યુવા પ્રમુખ જયુભા ડી. જાડેજા મોરબી પાસેના નાગડાવાસ વતની છે અને વર્ષોથી વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવે છે તેઓની લોકચાહના અને કર્મચારીઓમાં રહેલા વિશ્વાસથી તેઓ રાજકોટ વિભાગમાં પ્રમુખપદે ૧૪ વર્ષ તેમજ એસ. ટી. કર્મચારી ક્રેડીટ સોસાયટી - રાજકોટના ૧૯ વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે. નાની ઉમરમાં સમગ્ર ગુજરાતભરના એસ. ટી. કર્મચારીઓમાં જયુભા જાડેજાની કાર્યશૈલી અને કર્મચારીના સુખ-દુખના પ્રસંગમાં તેમની પાસે ઉભા રહી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના તંત્રના પ્રયત્નો અને લાગણીને મંચસ્ત તમામ અધિકારી-પદાધીકારીએ બીરદાવી હતી.
આ ભવ્ય સમારંભમાં એસ. ટી.ના કર્મચારીઓ ઉપરાંત જયુભા જાડેજાના સ્નેહીઓ, મિત્રો, પત્રકારો અને આમંત્રીતો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામે જયુભા ડી. જાડેજાનું સન્માન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સંચાલન જે. ડી. કાલાએ કર્યુ હતું.