Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

''જરા યાદ કરો કુરબાની " મોરબીમાં વીર શહીદોને ભાવાંજલિ ના કાર્યક્રમો યોજાયા

મોરબીમાં ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢી શહીદ ભગતસિંહને વીરાજંલી અર્પણ:યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા: ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી ૧૧૬ યુવાનોએ પ્રતીક ઉપવાસ કર્યા

મોરબી : શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાજંલીને કોટી કોટી પ્રણામ કર્યા હતા. ત્યારે શહીદ ભગતસિંહના કાંતિકારી વિચારોથી પ્રભાવિત થઈને હરહંમેશ દેશ ભક્તિને ઉજાગર કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોમર્સ કોલેજની સાથે આજે ભારતમાતાના વીર સપૂતોને ખરા અર્થમાં વિરાજંલી આપવા માટે શહીદ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા લોકોએ જોડાયને લાંબા તિરંગાને ગૌરવભેર સલામી આપીને શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને વીરાજંલી અપર્ણ કરી હતી

મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  તા.23 માર્ચ શહીદ દિવસની લોકોમાં દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના જાગે અને લોકો દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોની વીરતાને ખરા અર્થમાં નમન કરે તે રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા આજે શહીદ ભગતસિંહને વીરાજંલી આપવા  ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામા આવી હતી. જેમાં બાળકો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શૌથી લાંબી તિરંગા યાત્રાના યુવાનોએ ગૌરવભેર તિરંગાને ઊંચકી શહેરના મુખ્યમાર્ગો ઉપર નીકળીને વંદે માતરમ તેમજ શહીદો અમર રહોના નારા લગાવી શહીદોની દેશભક્તિને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા. આ તિરંગા યાત્રાને એકમ આર્મીમેન અને પોલીસ દળ દ્વારા આન બાન શાન સાથે પ્રસ્થાન કરાયું હતું. આ તકે પી.જી. પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટ તેમજ તેમનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ તેમજ સ્કાઈ મોલના રાજુભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી આ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી અને આ તિરંગા યાત્રા ગાંધીચોક ખાતે આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચીને ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરીને ભાવવંદના કરાઈ હતી. જ્યારે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓએ જેલવાસ દરમિયાન અંગ્રેજોની જોહુકમી સામે આવાજ ઉઠાવવા ૧૧૬ દિવસની ભૂખ હડતાલ કરી હતી. આથી કાલે શહીદ દિવસે મોરબીના૧૧૬ યુવાનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને શહીદ ભગતસિંહને અનોખી રીતે વીરાજંલી અર્પણ કરી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ અંગે જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓએ ભારતમાતાને અંગ્રેજી હુકુમતની ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત કરાવવા આપેલું બલિદાન એળે ન જાય તે  જોવાની આપણે બધા ભારતીયોની ફરજ છે. દરેક ભરાતીય આદર્શ નાગરિક બનીને જવાબદારીનું વહન કરે તેજ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. માત્ર લશ્કરના જવાનોમાં જ નહીં આપણે દરેક ભારતવાસીઓમાં " તેરી મિટ્ટી મેં, મિલ જાવા, ગુલ બન કે, મેં ખીલ જાવા, બસ ઈતન સી હૈ ખ્વાહિશ " આવી દેશભક્તિ કેળવાઈ તે માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાર્થક વિદ્યામંદિર શનાળા દ્વારા ‘શહીદ સ્મરણ યાત્રા’ યોજાઈ.
મોરબીના શનાળા ગામે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદ સ્મરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદ વેશભૂષા, વિશાળ રાષ્ટ્રધ્વજ, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં.
આ યાત્રા શનાળા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા યાત્રાનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે યુવા આર્મી ગૃપના સભ્યો તેમજ શનાળાના સ્થાનિક આગેવાનોએ ખાસ હાજરી આપી આ યાત્રાને પુષ્પવર્ષા અને ભગવા ધ્વજ દ્વારા ખુલ્લી મુકી હતી. આ યાત્રામાં શનાળા ગામના અનેક લોકો પણ સહભાગી થયા હતાં તેમજ શહીદ સ્મરણ યાત્રામાં સમગ્ર શનાળા શહીદ ક્રાંતિકારીઓની યાદોમાં ભીંજાઈ ગયું હતું.
 મોરબીમાં વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થાઓએ શહીદોને ફૂલહાર કર્યા.
આજે ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વીર શહીદોને ફૂલહાર કરીને શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
મોરબીના ગાંધી ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ, ગૌરક્ષા મોરબી જીલ્લા, મોરબી શહેર, ગ્રામ્યની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી એવા શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ અને શહીદ દિવસ નિમિતે ગાંધીચોક ખાતેની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા.
મોરબી શહેર યુવા ભાજપ ટીમે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી.
આજે ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને મહામંત્રી રીષીપભાઈ અને ભાવેશભાઈના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિતે ગાંધી ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી વીરાંજલિ અર્પણ કરી હતી અને આઝાદી વખતના પ્રસંગોને યાદ કરવામાં આવ્યા હતા.

(11:03 pm IST)