Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

દેશ દેવી માં આશાપુરા કચ્છ ખાતે આસો નવરાત્રીનો ૬ ઓકટોબર બુધવારથી પ્રારંભઃ રાત્રે ૮:૩૦ કલાકે ઘટસ્થાપન સાથે નવરાત્રી પ્રારંભ

સરકારશ્રીના નિયમોનુસાર મુખ્ય પુજારી, સેવકગણ, બ્રાહ્મણો દ્વારા સાદગીપૂર્વક નવરાત્રી ઉત્સવ ઉજવશે : તા.૧૨ને મંગળવાર રાત્રે ૯:૩૫ કલકે આસો સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયા પ્રારંભ થશેઃ અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રેના ૧:૩૦ કલાકે હવનમાં બિડુ હોમાશેઃ તા.૧૩ બુધવારે સવારે રાજ પરિવારના આગેવાનમા માં આશાપુરાને સવારે જાતર (પત્રી) ચડાવશે

રાજકોટ, તા.૨૩: ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રીપર્વ. ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં ઉપાસનાનું સ્થાન અલૌકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ-દેવીઓની નામરૂપ ધરી કામણગર કચ્છની ધન્ય ધરા માતાના-મઢ બિરાજતા દેશદેવીમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્ય તીર્થ ધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્યાણકારી છે. માં આશાપુરાનું સ્વરૂપ અજોડ, અનોખું અલોકિક છે. જયાં આસો નવરાત્રી તા.૬-૧૦-૨૧૨૧ બુધવાર ભાદર વદ અમાસ રાત્રે ૮:૩૦ કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-૧ તા.૭-૧૦-૨૦૨૧ ગુરૂવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.૧૨-૧૦-૨૦૨૧ સુદ-૭ મંગળવાર રાત્રે ૯:૩૫ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરૂ થશે. હવનવિધિ ગોર મહારાજશ્રી યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પુજાવિધિ, શ્રલોક શ્રુતિ પાઠ દ્વારા થશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૧:૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડું હોમશે. આસો સુદ આઠમ તા.૧૩-૧૦-૨૦૨૧ બુધવાર કચ્છ રાજપરિવાર વિધિવિધાન રાજપરિવાર દ્વારા માં આશાપુરા માતાજીને જાતર (પત્રી) ચડાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે માં આશાપુરા દ્વારા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતર (પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે.

હાલ ભાવિકજનો માટે દર્શન સમય સવારે ૫ થી બપોરે ૧ તથા બપોરે ૩ થી રાત્રીના સુધી દર્શન કરવા મળશે. દરેક ભાવિકજનો સરકારશ્રીના સુચના મુજબ માતાના-મઢ ટ્રસ્ટીઓ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. ભાવિકોએ માસ્ક, રૂમાલ, થર્મલ ટેસ્ટીંગ, સેનેટાઇઝર તેમજ સોશિયલ ડીસ્ટન્સ જાણવવાનું રહેશે.  ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. કોઇપણ જગ્યાએ અડવાની સખત મનાઇ છે. નવરાત્રી સરકારશ્રીની ગાઇડલાઇન તેમજ નિયમ મુજબ સાદગીપૂર્વક નવરાત્રી મુખ્ય પુજારીશ્રી તેમજ સેવકગણ, બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોગત વિધિ વિધાનમાં  માં આશાપુરાના નોરતા ઉજવવામાં આવશે. નવરાત્રી કોરોના કાળને લીધે સાદગીપૂર્વક યોજાશે. રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદન પૂર્ણ પ્રાર્થના કરશે. દરેક દેશવાસીની કોરોનારૂપી રોગથી દરેકની રક્ષા કરજો, વહેલી તકે આ ભયંકર રોગથીએ લોકો દેશવાસીઓને મુકિત મળે તેવી વંદનપૂર્ણ પ્રાર્થના કરશે. ભાવિકજનોને નમ્ર વિનંતી કે નવરાત્રી દરમ્યાન મતાના-મઢ (રૂરૂરૂ.પ્ખ્વ્ખ્ફખ્પ્ખ્ઝ્રણ્.બ્ય્ઞ્) વેબસાઇટના માધ્યમથી લાઇવ પ્રસારણ થશે. માં આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. માતાના -મઢ ટ્રસ્ટીગણ દ્વારા મંદિરના નિયમોનુસાર પાલન દરેક દર્શનાર્થીઓને અનુસરવાનું રહેશે. તેમ માઇભકત વિનોદભાઇ આર પોપટ મો.નં.૯૯૭૯૯ ૦૭૨૧૮ રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

(9:55 am IST)