Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ખેડૂતો તથા પશુપાલકો ગોબરધન યોજના થકી ઘરે જ રસોઈ માટે ગેસ ઉત્પન્ન કરવાની સુવિધાનો લાભ લે : મંત્રી રાઘવજીભાઈ પટેલ

ઝમરાળા અને રતનવાવ ગામના ગોબરધન યોજનાના તેમજ સૂર્ય શકિત યોજનાના લાભાર્થીની મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઈ પટેલ

માહિતી બ્યુરો)બોટાદ તા.૨૩ : ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે તેમની બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન ઝમરાળા ગામ સ્થિત શ્રી ફકકડાનાથ બાપા જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં પ.પૂ. મહંતશ્રી  જયદેવદાસજી બાપુએ મંત્રીશ્રીને  જગ્યા અને ગૌશાળા વિશે માહીતગાર કર્યાં હતા.

ત્યારબાદ મંત્રીશ્રીએ ઝમરાળા ગામના ગોબરધન યોજનાના લાભાર્થી  દિપકભાઈ નરસિંહભાઈ રાઘાણીના ઘરની મુલાકાત લઈ હતી. આ યોજના અંતર્ગત ખેડૂત કઈ રીતે ગોબર માંથી ગેસ ઉત્પન્ન કરે છે તે અંગે માહિતી મેળવી હતી. યોજના સંદર્ભે લાભાર્થી સાથે ચર્ચા વિચારણા કરી તેના પ્રતિભાવ જાણી યોજનાને લોકઉપયોગી બનાવવા સૂચનો મેળવીયા હતા છાણ માંથી રસોઈ માટે ગેસ બનતો જોઈ મંત્રી શ્રીએ હાજર અન્ય નાગરિકો ને આ યોજનાનો લાભ લેવા ટકોર કરી હતી.

મંત્રીશ્રી પટેલે આ મુલાકાત દરમિયાન  ખેડૂતો સાથે સંવેદનાસભર સંવાદ સાધતાં જણાવ્યું હતું કે, ભારત સરકારની ગોબરધન યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. જેનાથી પશુપાલનના વ્યવસાયની સાથે રસોઈ મત ગેસ ઉત્પન્ન કરી શકાય છે.  

ત્યારબાદ મંત્રીશ્રીએ રતનવાવ ગામના કિસાન સૂર્યોદય શક્તિ યોજનાના લાભાર્થી શ્રી નિતેશભાઈ ભગવાનભાઈ સવીયા સાથે  તેમના ખેતરે જઈ સંવાદ સાધીને કિસાન સૂર્યોદય શક્તિ યોજના તેમને કેટલી ઉપયોગી બની રહી છે તે અંગે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી. 

આ મુલાકાત વેળાએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે અનેકવિધ ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી છે તેમ  ઉમેર્યું હતું. 

 આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અધિક નિવાસી કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી સહિત જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 

 

(5:00 pm IST)