Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી ખાતે આંતરરાષ્‍ટ્રીય સંમેલન

વૈશ્વિક સમસ્‍યાઓનું સંસ્‍કૃત સાહિત્‍યમાં સમાધાન વિષય પર સેમિનાર

પ્રભાસ પાટણ,તા. ૨૨ : સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીᅠ દ્વારા બે દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન થશે. આ સેમિનારનો મુખ્‍ય વિષય ‘વૈશ્વિક સમસ્‍યાઓનું સંસ્‍કૃત સાહિત્‍યમાં સમાધાન' રાખવામાં આવ્‍યો છે. આ વર્ષે ભારતને જી-૨૦ની અધ્‍યક્ષતા મળી છે અને તેના મુખ્‍ય વાક્‍ય ‘વસુધૈવ કુટુંબકમ્‌'ને ધ્‍યાનમાં રાખીને આ વિષય પર સેમિનાર કરવામાં આવશે. આ સેમિનારમાં વિદેશી વિદ્વાનો સાથે ભારતભરના પ્રખ્‍યાત વિદ્વાનો ભાગ લેશે અને વૈશ્વિક સમસ્‍યાઓના સમાધાન માટે સંસ્‍કૃત શાસ્ત્રોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવશે.ᅠ

આ સંમેલનનું ઉદ્‌્‌ઘાટન ૨૩ સવારે ૧૦:૩૫ કલાકે પતંજલિ યોગ ભવનના સભાગૃહમાં રાખેલ છે. જેમાં આશીર્વચન આપવા BAPS સંશોધન સંસ્‍થાન, નવી દિલ્‍હીના નિર્દેશક મહામહોપાધ્‍યાય પ્રો. સાધુ ભદ્રેશદાસ સ્‍વામી, મુખ્‍યાતિથિ તરીકે ગુજરાત સહિત્‍ય અકાદમી, ગાંધીનગરના અધ્‍યક્ષ ડો. ભાગ્‍યેશ જહાં, સારસ્‍વત અતિથિ તરીકે શ્રી જગન્નાથ સંસ્‍કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રવિંદ્ર કુમાર પંડા અને સંસ્‍કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠનમંત્રી શ્રી દિનેશ કામત જોડાશે.

જયારે વિશેષ અતિથિ તરીકે વિવસ્‍વાન્‌ ફાઉન્‍ડેશન, પોલેન્‍ડના નિર્દેશક અને સંસ્‍કૃત વિદ્વાન શ્રી ફિલિપ્‌ રુસિંસ્‍કી ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમનાં પ્રેરણાસ્ત્રોત અને અધ્‍યક્ષ અત્રેની યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ પ્રો. (ડો.) લલિતકુમાર પટેલ રહેશે. આમંત્રકરૂપે અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડો. દશરથ જાદવ રહેશે.

આ સંમેલનનું આયોજન અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) લલિતકુમાર પટેલ અને કુલસચિવ ડો. દશરથ જાદવના માર્ગદર્શનમાં થનાર છે. અત્રેના વ્‍યાકરણ વિભાગના પ્રો. વિનોદ કુમાર ઝા અને યુનિવર્સિટી સંચાલિત સંસ્‍કૃત કોલેજના પ્રધાનાચાર્ય ડો. નરેન્‍દ્રકુમાર પંડ્‍યા ઉક્‍ત સંમેલનના સંયોજક રહેશે. અત્રેના ડો. જાનકીશરણ આચાર્ય, ડો. જીગર ભટ્ટ અને ડો. વિદુષી બોલ્લા સહસંયોજક તરીકે તેમાં કામગીરી કરશે.

(11:35 am IST)