(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨
મુંદ્રા, હજીરા અને દહેજના દરિયાકિનારે મીઠા જળનું ઝરણું છે. દુનિયાના પ્રત્યેક જીવને જળની નિતાંત જરૂરિયાત છે, પરંતુ સ્ત્રોત મર્યાદિત હોવાથી તેનુ સંરક્ષણ અત્યંત જરૂરી છે. ‘બહુજન સુખાય’ના ઉમદા આશયથી ગુજરાતમાં અદાણી ફાઉન્ડેશને જળ સંરક્ષણનું બીડું ઝડપ્યું છે. મુંદ્રા, હદેજ અને હજીરા ખાતે જળ સંસાધન વિકાસ માટે ફાઉન્ડેશને વિવિધ ઉપક્રમો થકી પાણીની પળોજણ દૂર કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. ચેકડેમો, વરસાદી જળસંગ્રહ માટે ટાંકા, તળાવો ઉંડા કરવા, ખેતી માટી ટપક સિંચાઈ વગેરે જેવા કાર્યો કરી લોકોને ઘર આંગણે પાણી ઉપલબ્ધ કરાવ્યું છે.
દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતના તટીય વિસ્તારો ખારાશના દૂષણથી અત્યંત પ્રભાવિત છે. તેથી દરિયાઈ પટ્ટી આસપાસ ભૂગર્ભજળ સંરક્ષણ, ખારા પાણીનો પેસારો અટકાવવો, જમીનનું ધોવાણ અટકાવવુ, જળચરોને બચાવવા જેવા અનેક પડકારો રહેલા છે. ઓછો વરસાદ અને શુષ્ક પ્રદેશમાં પાણીનું એક-એક ટીપું અમૂલ્ય હોય છે. તેવામાં જળ અને જમીનના સંવર્ધન સાથે ખેતી આધારિત લોકોનું જીવનસ્તર સુધારવા અદાણી ફાઉન્ડેશને અનેક સફળ ઉપક્રમો હાથ ધર્યા છે.
વાત કચ્છની કરીએ તો, મુન્દ્રાની આસપાસ અદાણી ફાઉન્ડેશને 208થી વધુ બોરવેલ રિચાર્જ, 145થી વધુ રેઈન વોટર રૂફટોપ હાર્વેસ્ટિંગ સિસ્ટમ (RRWHS), 18થી વધુ નવા ચેક ડેમ અને 61 થી વધુ જેટલા તળાવો ઉંડા કરવાના જેવા કાર્યો કર્યા છે. જેનાથી સમગ્ર વિસ્તારના ભૂગર્ભજળમાં 16.7% TDSનો ઘટાડો અને ગ્રાઉન્ડ વોટર ટેબલમાં 4.2 ફૂટનો વધારો નોંધાયો છે. વળી બોરવેલ રિચાર્જિંગથી જળસ્તરમાં 15-20 ફૂટનો વધારો અને ચેકડેમ અને તળાવોની સંગ્રહ ક્ષમતામાં 106.44 MCFT નો વધારો થયો છે.
ઉપરોક્ત ઉપક્રમોના પરિણામે લોકોના સ્વાસ્થ્ય અને જીવનસ્તરમાં અભૂતપુર્વ બદલાવ આવ્યો છે. પીવાલાયક પાણી ઘરઆંગણે ઉપલબ્ધ થવાથી શ્રમ ખર્ચમાં 80% અને વીજબીલમાં 20% નો ઘટાડો નોંધાયો છે. અગાઉ પાણી માટે સરેરાશ 1.3 કિલોમીટર ચાલવું પડતુ હતું હવે તે ઘરઆંગણે મળવાથી શ્રમ ઘટ્યો છે. વળી મહિલાઓ અને બાળકોની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત થઈ છે. હેલ્થકેર ખર્ચમાં સરેરાશ 25% જેટલો અને પરિવાર દીઠ રૂ.10,000ની બચત થઈ છે. ફાઉન્ડેશનના આ પ્રયાસોથી 218,500થી વધુ લોકો પ્રભાવિત થયા છે.
ઝરપરાના સામાજીક કાર્યકર દેવાંધ ગઢવી જણાવે છે કે “અદાણી ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ પહેલાં અમારી પાસે ખારું પાણી પીવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પાણી પુરવઠો પણ નિયમિત ન હતો, જેના કારણે પીવાના પાણીની ઉપલબ્ધતા મોટો પડકાર હતો. હવે, વરસાદી પાણીના સંગ્રહના માળખાને કારણે અમે આખું વર્ષ પીવાનું પાણી મેળવી શકીએ છીએ. આ સ્ટ્રક્ચર્સનું સૌથી મહત્વનું પાસું એ છે કે તેને દરેક ઘરમાં પાણી વપરાશને અનુરૂપ ડિઝાઇન અને ઇન્સ્ટોલ કરવામાં આવી છે.”
દહેજમાં અન્ય ઉપક્રમો ઉપરાંત જળ સંરક્ષણ ક્ષેત્રે વોટર ATMનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો. કોમ્યુનિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હેઠળ અદાણી ફાઉન્ડેશન દ્વારા RO પ્લાન્ટની પહેલ કરવામાં આવી છે. બસ સ્ટેન્ડની નજીક બનાવાયેલ વોટર ATMથી પ્રવાસીઓ પણ પૈસાની જેમ પાણી ઉપાડી શકે છે. ગ્રામજનોને એટીએમ કાર્ડથી માત્ર રૂ. 7માં 20 લિટર પાણી મળે છે. સ્થાનિક રાકેશ પટેલ આ પ્લાન્ટનું સંચાલન કરી મહિને રૂ.15000 કમાય છે.
બંદર અને ઔદ્યોગિક વિકાસના કારણે દહેજમાં મોટી સંખ્યામાં વસતા કામદારો વોટર ATMનો લાભ ઉઠાવી રહ્યા છે. રાકેશભાઈ જણાવે છે કે “લોકો ROનું પાણી વધુ પસંદ કરે છે. વળી ચોમાસામાં તેની માંગ ખૂબ જ વધી જાય છે.” ફાઉન્ડેશનની પહેલના કારણે દરિયાઈ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળ્યું અને દૂષિત પાણીથી થતા રોગો અટકાવી શકાયા વળી સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે.
સુરત જિલ્લાનું બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર હજીરા પ્રવાસન કેન્દ્ર તરીકે વિખ્યાત છે. દરિયાકાંઠે આવેલા હજીરાની આસપાસ ફાઉન્ડેશન દ્વારા અનેક તળાવો બનાવાયા છે, અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીનું બાંધકામ, RO સિસ્ટમ સાથે વોટર હટ, ભૂગર્ભ સમ્પનું બાંધકામ, આરઓ પ્લાન્ટ સપ્લાય અને ફિક્સિંગ જેવા અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે.
ફાઉન્ડેશનની ટીમે એક મજબૂત અભિગમ અપનાવીને તમામ સાઇટસની જાત મુલાકાત, ક્વોન્ટમ અભ્યાસ, સર્વેક્ષણો, તકનીકી સમીક્ષાઓ, લોકોની જરૂરિયાતો, આર્થિક અને પર્યાવરણીય સંદર્ભોના સર્વગ્રાહી અભ્યાસ બાદ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જળસંરક્ષણ ક્ષેત્રે કરાયેલા લોકોપયોગી કાર્યો સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સંદર્ભો પ્રત્યે સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જળ સંરક્ષણ ક્ષેત્રે અસામાન્ય કામગીરીની નોંધ લેતા જળશક્તિ મંત્રાલય તરફથી અદાણી ફાઉન્ડેશનને વર્ષ 2021માં રાષ્ટ્રીય જળ પુરસ્કારથી નવાજવામાં આવ્યું છે.