Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાવનગરમાં બિલ્ડર સાથે રૂ. ૪૮ લાખની છેતરપીંડીઃ નિવૃત આર.એફ.ઓ. સહિત પ સામે ફરીયાદ

ભાવનગર, તા. રર : ભાવનગરના જાણીતા બિલ્ડર ટી.એમ. પટેલએ જમીનના સોદામાં રૂ. ૪૮ લાખની છેતરપીંડી અંગે નિવૃત આર.એફ.ઓ. સહિત પાંચ મોટા માથાઓ સામે ફરીયાદ નોંધાવતા બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગેની મળતી વિગત મુજબ ભાવનગરના જાણીતા બિલ્ડર તુલશીભાઇ મુળજીભાઇ પટેલ (ટી.એમ. પટેલ-નારી) એ ભાવનગર વન વિભાગના નિવૃત આર.એફ.ઓ. કે.કે. ભરવાડ, જી.એમ. વાળા તથા કાવાભાઇ ભરવાડ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ડી-ડીવીઝન પોલીસ સ્ટશેનમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવાયુ છે કે નિવૃત આર.એફ.ઓ. કે.કે. ભરવાડ, જી.એન. વાળા, કવાભાઇ ભરવાડએ મળી બિલ્ડર ટી.એમ. પટેલને કહેલ કે તેમની હસ્તક ખધેવાડા ગામે બે ખેડૂતોની જમીન છે જે વેચાણથી આપવાની છે.  આવી તુલસીભાઇ પટેલએ જમીન જોયા બાદ તેઓ રસ પડતા ત્રણેય સાથે જમીનના સોદા અંગે વાટાઘાટો માટે જમીનના મુળ ખેડૂત ખાતેદારને બોલાવવાનું કહેતા ખેડૂતો પોપટભાઇ દુધાભાઇ તથા નાગભાઇ ગામાભાઇ (હાલ બન્ને ખેડૂતો અવસાન પામેલ છે) ને સાથે રાખી બેઠક કરી હતી અને જમીનનો સોદો નક્કી થયો હતો. બાદમાં પીલગાર્ડન પાસે આવેલ હોટલમાં આ જમીનના બાનાની રકમ રૂ. ૪૮,૩૦,૦૦૦ ચૂકવ્યા હતાં.

બાનાની રકમ આપ્યા બાદ નિયત સમય વતી ગયા પછી તુલસીભાઇ પટેલે ત્રણેયની પાસે જમીનનો દસ્તાવેજ કરી દેવાનું કહેતા પછી કરી આપીશું તેમ કહી વાયદાઓ કરતા અંતે બિલ્ડર તુલસીભાઇ પટેલે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઇ હોવાનું લાગતા તેને આ તમામ વિરૂદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઇ રહેવર ચલાવી રહ્યા છે. આ ફરીયાદથી શહેરના ખાસ કરીને બિલ્ડર લોબીમાં ભારે ચકચાર જાગી છે.

(11:28 am IST)