Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગર સરકીટ હાઉસમાં નરેન્‍દ્રભાઇ મોદીને મુકેશ અંબાણી અને આકાશ અંબાણી મળ્‍યાઃ વડાપ્રધાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી

સરકીટ હાઉસ ખાતે મુલાકાતીઓની અવરજવર

જામનગર: બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા છે. તેઓ અહીં વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ભૂમિપૂજન કરવાના છે. તો અંબાણી પરિવાર પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે. મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પીએમ મોદીને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આજે મુકેશ અંબાણીનો જન્મદિવસ હોઈ આ મુલાકાત ખાસ રહી હતી, પીએમ મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન સીધા જ જામનગરના પાયલોટ બંગલે પહોંચી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. GCTMના કાર્યક્રમમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથ તથા WHOના મહાનિર્દેશક જનરલ ટેડ્રોસ ઉપસ્થિત રહેશે. રોડ શો દરમિયાન વહીવટી તંત્રએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ બનાવ્યા છે. મહેમાનોનું સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને સ્વાગત કરાશે.

શું છે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર

વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે. 

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં  યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

(5:54 pm IST)