Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

કાળીપાટ પાસે બંધ આઇસરની પાછળ બીજુ આઇસર ઘુસી જતા બળઘોઇના વિશાલનું મોત

આઇસરમાં પંચર પડતા ટાયર બદલાવતા મનસુખભાઇ પરમારને ઇજા થતા રાજકોટની હોસ્‍પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૩ : ભાવનગર રોડ પર કાળીપાટ ગામ પાસે રોડ સાઇડમાં બંધ પડેલા આઇસરની પાછળ બીજુ આઇસર ઘુસી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બળઘોઇના આઇસર ચાલકનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે ભગીરથ સોસાયટીમાં રહેતા મનસુખભાઇ સાતાભાઇ પરમાર (ઉ.૩૫) ગઇકાલે પોતાનુ આઇસરમાં માલભરી જસદણ તરફ જતા હતા ત્‍યારે ભાવનગર રોડ પર ત્રંબાગામ પાસે આઇસર માં અચાનક પંચર પડતા તેણે આઇસર સાઇડમાં રાખી ટાયર બદલાવતા હતા ત્‍યારે જસદણ તરફ જતુ બીજુ આઇસરના ચાલકે પૂરઝડપે આવી બંધ પડેલા આઇસરની પાછળ ધડાકા સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બે આઇસરમાં ફસાયેલા બંને યુવાનોને ક્રેઇનની મદદથી બંને વાહનો છૂટા પાડી બંનેને બહાર કાઢવામાં આવ્‍યા હતા. બાદ બંનેને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતા ત્‍યાં જસદણના બળઘોઇના વિશાલ જગાભાઇ, ધોળકીયા (ઉ.૨૫)નું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. જ્‍યારે રોડ સાઇડમાં પડેલા આઇસરનાં ટાયરમાં પંચર કરી રહેલા મનસુખભાઇ પરમારના માથા તથા બંને પગે ઇજા થઇ હતી. મૃતક વિશાલ ત્રણ ભાઇમાં મોટો હતો. તે રાજકોટ મોચીબજારમાં એક ટ્રાન્‍સપોર્ટમાંથી માલભરીને જસદણ જતો હતો. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી.બી.સુખાનંદી તથા રાઇટર વિક્રમભાઇએ તપાસ હાથ ધરી છે

(1:15 pm IST)