Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

વાંકાનેરમાં તબીબના મકાનમાંથી ૧૩ લાખની ચોરી

ડો. પાસલીયા અને પત્નિ બહાર ગયા હતા ત્યારે રોકડ લઈને નાસી છૂટયાઃ ઘરેણા જે તે સ્થિતિમાં પડયા રહ્યાઃ જાણભેદુ હોવાની શંકા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૧ :. વાંકાનેરના ડો. સાજીદ પાસલીયાના મકાનમાંથી રૂ. ૧૩ લાખની રોકડની ચોરી થતા સનસનાટી મચી ગઈ છે.

કાલે સિટી સ્ટેશન રોડ, ધર્મચોક સ્થિત પીર મશાયખ હોસ્પીટલના ડો. સાજીદ પાસલીયા (એમ.ડી.)ના ઘરમાં રૂ. તેર લાખની ચોરી થયાની જાણ શહેર પોલીસને થતા પીઆઈ શ્રી રાઠોડ સાથે જીલ્લા એલસીબીનો કાફલો હોસ્પીટલે દોડી જતા ત્યાં હાજર રહેલા ડોકટરને પૂછપરછ કરી પોલીસે આ બનાવ અંગેની તમામ વિગતો એકઠી કરી હતી. જેમાં હોસ્પીટલના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ મેળવ્યા હતા.

આજે સવારે ડો. પાસલીયાએ જણાવેલ કે, આ ચોરીમાં હોસ્પીટલના અથવા કોઈ બહારના જાણભેદુ હોય શકે તેવી શંકા છે. મારા પત્નિ ગુરૂવારે બહારગામ ગયેલ. બાદમાં હું પણ રવિવારે ઘર બંધ કરીને બહાર ગયેલ. અમારા મકાનમાં કોઈ જાણભેદુ લોક ખોલીને અંદર રહેલી તિજોરીની ચાવીથી લોક ખોલીને અમારા ઘરમાં રહેલા રોકડ રૂપિયા કે જેમા રૂપિયા ૫૦૦ની નોટો કે જે રકમ તેર લાખ હતા જેમા પાંચ લાખ મારા ખુદના હતા અને આઠ લાખ રૂપિયા મેં મારા સગાઓ પાસેથી મકાન ખરીદવા માટે મંગાવેલા હતા. જે તમામ ૫૦૦વાળી નોટો એટલે કે તેર લાખ રૂપિયાની રોકડની ચોરી થયેલ છે. બાકીના રૂપિયા ૧૦૦ અને ૫૦ની નોટો તથા ઘરેણા જે તે સ્થિતિમાં હાલમાં પડયા છે.

આ બનાવમાં વિશેષમાં તેઓએ જણાવેલ કે, સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તમામ વિગતો એકઠી કરી છે. ટૂંક સમયમાં જ આરોપી ઝડપાશે.

(11:00 am IST)