Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભાવનગર : સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: સાડા ચાર વર્ષ પુર્વે ભાવનગર શહેરના કુંભારવાડા , અમર સોસાયટી વિસ્‍તારમાં રહેતા એક શખ્‍સ સગીરા પર દુષ્‍કૃત્‍ય આચર્યા હોવાની બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી .

આ અંગેનો કેસ ભાવનગરના ૩ જા એડીશનલ સેશન્‍સ જજની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્‍યાને રાખી આરોપી સામે ગુન્‍હો સાબીત માની આરોપીને ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા અદાલતે ફટકારી હતી . આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના કુંભારવાડા , અમર સોસાયટી વિસ્‍તારમાં રહેતા સુરેશ ઉર્ફે સુર્યો ધીરુભાઈ પરમાર નામના શખ્‍સ ગત તા .૧૦ / ૯ / ૧૭ ના રોજ એક ૧૬ વર્ષની સગીરાને લલચાવી , ફોસલાવી , લગ્નની લાલચ આપી , વાલી પણા માંથી ભગાડી , સગીરા પર દુષ્‍કર્મ આચર્યુ હતુ . આ બનાવની જે તે સમયે પોલીસ ફરીયાદ નોંધાતા બોરતળાવ પોલીસે ઉકત આરોપી સામે ઈ.પી.કો.કલમ -૩૬૩ , ૩૬૬,૩૭૬ અને પોકસો એકટની કલમ -૪,૮ મુજબનો ગુન્‍હો નોંધ્‍યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડીશનલ સેશન્‍સ જજ ઝંખનાબેન ત્રીવેદીની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ધ્રુવ મહેતાની અસરકારક દલીલો , મૌખિક પુરાવા -૧૪ અને દસ્‍તાવેજી પુરાવા -૨૭ વિગેરે ધ્‍યાને રાખી આરોપી સુરેશ ઉર્ફે સુર્યો ધીરુભાઈ પરમારની સામે જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા અને રોકડ ૧૦ હજારનો દંડ તેમજ સગીરાને વળતર પેટે રૂપીયા ૫૦ હજાર ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો .

(2:37 pm IST)