રાજકોટઃ આજના આધુનિક યુગમાં સુખ-શાંતિની શોધ કરતો માનવ પ્રતિદિન અને પ્રતિક્ષણે સાધન-સંપતિ, સગવડ અને સજાવટમાં નિરંતર વધારો કરી રહ્યો છે. છતાં પ્રતિદિન અને પ્રતિક્ષણે અશાંતિ અને અજંપામાં, દુરાચાર અને ભ્રષ્ટાચારમાં, સંઘર્ષો અને છૂટાછેડામાં, હત્યા અને આત્મહત્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે કારણ કે, વિશ્વનો ઉત્કર્ષ થયો પરંતુ માનવનો ઉત્કર્ષ ન થયો. જેઓએ પોતાની ૯૫ વર્ષની સમગ્ર આવરદા માનવજાતના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધી તેવા વિરલ સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેઓના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજના શુભાશિષથી રાજકોટના આંગણે તા. ૧ જૂન, બુધવારથી તા. ૫ જૂન, રવિવાર, પાંચ દિવસ દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દેશ-વિદેશમાં હજારો પ્રવચન, પારાયણ, શિબિર અને સેમિનાર દ્વારા લાખો બાળકો-યુવાનો-વડીલોને ઉત્કર્ષના પંથે પ્રેરનાર BAPS સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી મોટીવેશનલ સ્પીકર સંત પૂ.અપૂર્વમુનિ સ્વામી એમની રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગ, દ્રષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરી અને ફોટો-વિડીયોની અદ્દભુત પ્રસ્તુતિ સાથે પ્રસન્નતાસભર પરિવર્તનની અનુભૂતિ કરાવશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસ તા.૫ જૂન, રવિવારે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્દદ્યોષ સમારોહ BAPS સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત પ.પૂ. ડોક્ટર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા.૩૧ મે, મંગળવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન ગ્ખ્ભ્લ્ રાજકોટના હજારો બાળ-બાલિકાઓ ‘વિશ્વ તમાકુ નિષેધ દિને' વિરાટ વ્યસનમુકિત રેલી દ્વારા નિર્વ્યસની રાજકોટનો સંદેશ પ્રસરાવશે. સાથે તા.૬ જૂન, સોમવારે સાંજે ૬ થી ૯ દરમ્યાન વિરાટ મહિલા સંમેલન પણ યોજાશે જેમાં રાજકોટ BAPSની બાલિકા-યુવતી-મહિલાઓ સંવાદ, નૃત્ય, પ્રવચન અને વિડીયોની રસપ્રદ પ્રસ્તુતિથીસ્ત્રીશક્તિને શિક્ષણ, સંસ્કાર, સેવા, સમર્પણ અને શ્રદ્ધાના સન્માર્ગે પ્રેરશે. માનવ ઉત્કર્ષ મહોત્સવ કથાની પોથીયાત્રા તા.૧ જૂન, બુધવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન યોજાશે જે રેસકોર્ષ મેદાનમાં વિરામ પામશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત પ્રમુખ રકતદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે જેમાં જરૂરીયાતમંદ માનવોની સહાય માટે તથા અનેક જીવોની જીંદગી બચાવવા માટે રાજકોટના સર્વે સ્વસ્થ પ્રજાજનો ઉત્સવના દિવસો દરમ્યાન રોજ સાંજે ૭ થી ૧૧ મહોત્સવ સ્થળે રક્તદાન કરી શકશે.
હાલ રેસકોર્સ મેદાન પર મહોત્સવની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. જેમાં યુવાનો અને વડીલ સ્વયંસેવકો વિવિધ વિભાગોમાં મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
પ્રત્યેક વય, પ્રત્યેક જ્ઞાતિ, પ્રત્યેક વ્યવસાય અને પ્રત્યેક ધર્મના માનવની સમસ્યાઓના સમાધાન આપનાર આ માનવઉત્કર્ષ મહોત્સવમાં પ્રવચન, પ્રદર્શન, પ્રેરક સાહિત્ય અને પ્રસાદનો લાભ લેવા માટે સગા-સ્નેહી, મિત્રો અને પરિવારજનો સાથે નિત્ય પધારવા સમગ્ર સંત-ભક્ત મંડળ વતી રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામીએ રાજકોટની તમામ ભાવિક જનતાને આમંત્રણ પાઠવ્યું છે.
તસ્વીરમાં શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા (ફનવર્લ્ડ), શ્રી કેતનભાઈ કાછેલા (રાજકોટ સત્સંગ પ્રવૃતિ સંયોજક), શ્રી નિર્મલ ટાંક (મીડિયા ઈન્ચાર્જ) અને શ્રી હિમાંશુ ગજેરા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
માનવ ઉત્કર્ષ મહોત્સવના આકર્ષણો
૧૦૦ ફૂટનો ભવ્ય પ્રવેશ દ્વારઃ ૧૧૬ ફૂટ પહોળો, ૫૦ ફૂટ લાંબો અને ૬ ફૂટની ઊંચાઈનો સ્ટેજ
Ø રેસકોર્સ મેદાનના ૩,૭૫,૦૦૦ ચો.ફીટ વિસ્તારમાં બેઠક વ્યવસ્થા
Ø રેસકોર્સ મેદાનના ૬૦,૦૦૦ ચો.ફીટ વિસ્તારમાં આકર્ષક અને પ્રેરણાદાયી પ્રદર્શન પ્રસ્તુતિ
Ø ૧૧૬ ફૂટ પહોળાઈ, ૫૦ ફૂટ લંબાઈ અને ૬ ફૂટ ઉંચાઈનું વિશાળ મુખ્ય સ્ટેજ
Ø ૧૦૦ ફૂટનો ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર
Ø મુખ્ય સ્ટેજ પર ૧૦૦ ફૂટની વિશાળ LED સ્ક્રીન
Ø પૂ.અપૂર્વમુનિ સ્વામીની રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગ, દ્રષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરી અને
ફોટો- વિડીયોની અદ્દભુત કથા પ્રસ્તુતિ
Ø મહોત્સવ દરમ્યાન દરરોજ ચાલનાર પ્રમુખ રકતદાન મહાયજ્ઞ
Ø મહોત્સવ દરમ્યાન દરરોજ બાળકો અને બાલિકાઓ દ્વારા વ્યસનમુકિત અને પ્રકૃતિ સંવર્ધન વિષયક આકર્ષક અને પ્રેરણાદાયી પ્રસ્તુતિ