Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સૌરાષ્‍ટ્રવાસીઓએ નરેન્‍દ્રભાઈને ફૂલડે વધાવ્‍યા

ભાજપ સંગઠન , સરકાર,પટેલ સેવા સમાજ,દાતાઓ અને પ્રજાજનોના ચતુષ્‍કોણીય સમન્‍વયથી કાર્યક્રમને મળેલી ભવ્‍યાતિભવ્‍ય સફળતાઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ લાંબા સમયગાળા બાદ  રાજકોટ અને આટકોટની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્રની પ્રજાએ ફૂલડે વધાવ્‍યા હતા અને તેમને સાંભળવા અને એક ઝલક જોવા માટે મોટી સંખ્‍યામાં ઉમટી પડીને તેમના પ્રત્‍યેની તેમની લાગણી વ્‍યક્‍ત કરી હતી. શનિવારનો દિવસ સૌરાષ્‍ટ્ર અને ગુજરાત માટે ઐતિહાસિક રહ્યો હતો અને આ દિવસે વડાપ્રધાને સવારે આટકોટમાં અદ્યતન હોસ્‍પિટલ ખુલ્લી મૂકી હતી તો સાંજે ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં હાજરી આપી હતી. આ બંને કાર્યક્રમોમાં વડાપ્રધાને કરેલા હ્રદયસ્‍પર્શી ઉદગારોએ પ્રજાને ભાવુક કરી હતી તેમ સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્‍યું છે.

આટકોટમાં અદ્યતન હોસ્‍પિટલનાં ઉદઘાટનનો કાર્યક્રમ દરેક રીતે ઐતિહાસિક રહ્યો હતો તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ હોસ્‍પિટલ સૌરાષ્‍ટ્રના મોટાભાગના ગ્રામીણ વિસ્‍તારો તથા  જીલ્લાના લોકોને ઉપયોગી થશે સાથોસાથ લોકોને તબીબી ક્ષેત્રે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીસભર સારવાર મળશે.

આ કાર્યક્રમમાં કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકાર, સમગ્ર પંથકની પ્રજા, ભાજપનું સંગઠન, પટેલ સેવા સમાજ અને દાતાઓ વગેરેનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો અને કાર્યક્રમને  ભવ્‍ય સફળતા મળી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દેશના છેવાડાનાં માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ અને તબીબી સેવાઓ મળે તે માટે સતત ચિંતા કરતા હોય છે અને આટકોટની હોસ્‍પિટલ શરૂ થવાથી રાજકોટ ઉપરાંત અમરેલી, ભાવનગર સહિતના જીલ્લાના લોકોને તેનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી આર પાટીલ તથા ઉપાધ્‍યક્ષ તથા  કે ડી પી હોસ્‍પિટલના મેનેજિંગ ટ્રસ્‍ટી ભરતભાઇ બોધરાના માર્ગદર્શન હેઠળ નજીકના જિલ્લાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આગેવાનો મંત્રીશ્રીઓ, સંસદસભ્‍યો, ધારાસભ્‍યો,સમગ્ર વહીવટી તંત્ર,હોસ્‍પિટલ નિર્માણમાં દાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલું ભાવનાત્‍મક પ્રવચન લાખ્‍ખો લોકોના હ્રદય સુધી પહોચી ગયુ છે.નરેન્‍દ્રભાઈએ અસ્‍સલ કાઠીયાવાડી લહેકામાં વાહ બાપુડી એવો જે ઉદગાર કર્યો હતો તે અવિસ્‍મરણીય રહેશે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે સૌરાષ્‍ટ્ર-ગુજરાતને આપેલી સુવિધા અને તેના માધ્‍યમથી થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને સરકાર લોકોનો પડખે છે તેવી પ્રતીતિ કરાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:17 pm IST)