Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

આઈટીનુ મેગા સર્ચ પૂર્ણતાના આરે : ૩૦૦ કરોડથી વધુ બિનહિસાબી વ્યવહારો ખુલ્યા?

આર.કે. ગ્રુપ, ગંગદેવ ગ્રુપ સહિત ૪૦થી વધુ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીમાં ૩૦ સ્થળોએ કાર્યવાહી પૂર્ણ કરતુ આઈટી : હજુ ૧૦ સ્થળોએ તપાસ ચાલુ * થોકબંધ સાહિત્ય કબ્જે કરતું ઈન્કમટેકસ * હવે એસેસમેન્ટ અને બેન્ક લોકર સહિતની કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટ, તા. ૨૭ : રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર રાજકોટની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા હાથ ધરાયેલ મેગા સર્ચ ઓપરેશન હવે પૂર્ણતા તરફ છે. મંગળવારે શરૂ થયેલી ૪૦ થી વધુ જગ્યા ઉપરના દરોડા બપોરે ૨ વાગ્યા સુધીમાં ૩૦થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે. જયારે હજુ ૧૦થી વધુ સ્થળો ઉપર આવકવેરાના દરોડાની કાર્યવાહી ચાલુ છે. દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા આર.કે. ગ્રુપ, સ્પાયર ગ્રુપ, કોન્ટ્રાકટર સહિતનાનો કુલ ૩૦૦થી વધુ કરોડનું બીનહિસાબી વ્યવહારો ખુલ્યા છે.

છેલ્લા દોઢ વર્ષ બાદ આવકવેરા વિભાગે કરપાત્ર રકમ શોધવા કાળુ નાણુ શોધવા રાજકોટમાં ટોચના બિલ્ડર ગ્રુપ, આર.કે. ગ્રુપ અને મારબલ તેમજ કોન્ટ્રાકટર ઉપર ૪ દિવસ પૂર્વે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

આવકવેરા વિભાગે ૪૦ સ્થળો ઉપર ૨૦૦થી વધુ આયકર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. જે આજે ૪થા દિવસે પૂર્ણતાના આરે જઈ રહ્યો છે.

મંગળવારે વ્હેલી સવારે ઈન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઈન્કમટેકસ દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત ૪૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં આર.કે. ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણી, જગદીશભાઈ સોનવાણી, ભરતભાઈ સોનવાણી, વિક્રમભાઈ લાલવાણી, સ્પાયર અને ત્રિનેત્રી ગ્રુપના પ્રફુલભાઈ ગંગદેવ, સિદ્ધાર્થભાઈ ગંગદેવ, રમેશભાઈ પાચાણી, આશીષભાઈ ટાંક, હરીસિંહ સુતરીયા તેમજ ફાયનાન્સર અને અન્ય સહયોગી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આવકવેરાના દરોડા દરમિયાન આવકવેરા વિભાગને ૪ કરોડથી વધુ રોકડ અને ૩ કિલોથી વધુ દાગીના મળી આવ્યા હતા. આવકવેરા વિભાગે અનેક સ્થળોએથી થોકબંધ સાહિત્ય કબ્જે કર્યુ હતું. આવકવેરા વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવેલ થોકબંધ સાહિત્ય અને નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે. આજે મોડી સાંજે અથવા આવતીકાલે તમામ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પૂર્ણ થવાની શકયતા છે. 

(4:08 pm IST)