Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

માતાના મૃત્યુના બીજા જ દિવસે આઘાતમાં પુત્રી રિઝવાનાબેને ફાંસો ખાઇ મોત મેળવી લીધું

જીવંતીકાનગરમાં બનાવ : માતા-પુત્રી એકલા રહેતા'તા મુસ્લિમ પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૧ : ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં વૃધ્ધ માતાના મૃત્યુ બાદ તેના આઘાતમાં પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. ૨માં રહેતા રીઝવાનાબેન મહેબુબભાઇ મખાણી (ઉ.૩૨) એ ગઇકાલે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. રીઝવાનાબેનને લટકતી હાલતમાં જોઇ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા રીઝવાનાબેનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડોડીયા તથા રાઇટર કૃષ્ણસિંહ સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની તપાસમાં મૃતક રીઝવાનના એક ભાઇનું એક વર્ષ પહેલા મૃત્યુ નિપજ્યું હતું. બીજો ભાઇ આફ્રીકા રહે છે. માતા - પુત્રી બંને એકલા જ રહેતા હતા. પરમ દિવસે વૃધ્ધ માતાનું બીમારીના કારણે મૃત્યુ નિપજતા બાદ તેના આઘાતમાં રીઝવાનાબેને આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું. આ બનાવના પગલે મુસ્લિમ પરિવારમાં માતમ છવાયો છે.

(3:28 pm IST)