Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કાલે જૈનોનું માસ ક્ષમણનું ધરઃ ૩૦ ઉપવાસ કરવાવાળા તપસ્વીઓ તપના તોરણ બાંધશે

રાજકોટ, તા.૧૨: જૈનોના પર્વોનો રાજા પર્વાધિરાજ પર્યુષણ મહા પર્વ શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ધર્મ પ્રેમીઓ આતુરતાપૂર્વક આ પર્વની રાહ જોઈ રહ્યાં છે. ઉપકારી પૂ.સાધુ - સાધ્વીજીઓ ધર્મ સ્થાનકોમાં જિનવાણીરૂપી ભેરી વગાડી તપસ્વીઓને જગાડી રહ્યાં છે. ભાદરવા સુદ પાંચમનાં રોજ માસ ક્ષમણ તપસ્વી આત્માઓના ૩૦ ઉપવાસ પુર્ણ થશે.

ધર એટલે ધારવું. જે તપસ્વી આત્માઓને ૩૦ ઉપવાસ એટલે કે માસ ક્ષમણ કરવાની શુભ ભાવના હોય તેઓ સ્થાનકવાસી તિથિ પંચાંગ પ્રમાણે આવતીકાલ તા.૧૩થી તપનો શુભારંભ કરે છે.

મહા પુરુષો કહે છે અનાદિ કાળથી જીવાત્માએ વાદ અને સ્વાદમાં જ બધુ ગુમાવ્યુ છે.પંચેન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ઘણી જ કઠીન છે.જીવાત્મા જયાં ઉત્પન્ન થયો ત્યાં સૌ પ્રથમ જમવાનો પ્રોગ્રામ જ રાખ્યો છે. દરેક ઈન્દ્રિય એક કામ કરે છે જયારે જીભ બે કામ કરે છે...ખાવું અને બોલવું. મહા પુરુષો કહે છે કે મોટા ભાગના લોકો ખાઈને પણ બગાડે છે અને બોલીને પણ બગાડે છે.આ જીવે ટનના ટન અને મણના મણ ખાધુ છતાં ભૂખ્યોને ભૂખ્યો રહે છે. ચાર પ્રકારના ખાડા કહેવાય છે. (૧) પેટનો ખાડો,(૨) સમુદ્રનો ખાડો,(૩) સ્મશાનનો ખાડો (૪) તૃષ્ણા - ઈચ્છાનો ખાડો.અનુભવીઓ કહે છે આ ચાર ખાડા કદી પૂર્ણ થતાં જ નથી.જૈન ધર્મમાં તપનું અનેરૂ અને આગવું સ્થાન છે.આરોગ્યની દ્રષ્ટિએ પણ તપને શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. જીવનમાં નાની - મોટી તપ સાધના કરનારને કદી ડોકટર પાસે જવું પડતું નથી.જેનાથી માસ ખમણ ન થઈ શકે તો પરમાત્માએ આગમ - શાસ્ત્રોમાં બાર પ્રકારના તપ પણ બતાવેલ છે. નાના - નાના નિયમો પણ ધારણ કરી શકાય છે. લીલોત્તરી ત્યાગ, નિત્ય પૂ.સાધુ સાધ્વીઓના દર્શન, જિનવાણીનું શ્રવણ સામાયિક પ્રાર્થના, પ્રતિક્રમણ, રાત્રિ ભોજન ત્યાગ, ચૌવિહાર વગેરે વ્રત - નિયમધારી શકાય છે. પ્રભુ મહાવીર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે તપ કરવાથી અનંતા કર્મોનો ક્ષય થાય છે તેમજ શારીરિક અને માનસિક દુઃખોનો અંત આવે છે.

(3:00 pm IST)