Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ઉનાળાના પ્રારંભે જ રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્‍યાઃ પશુઓ માટેના અવેડામાંથી પાણી ભરીને પીવુ પડે છે

લાખાવડ ગામમાં લોકો અને પશુઓ એક જ જગ્‍યાએથી પાણી પીવે છે

રાજકોટ: ઉનાળો શરૂ થતાં જ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પાણીનો પોકાર શરુ થઇ ગયો છે અને પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યા છે નર્મદાની પાણીની લાઈન છે પરંતુ પાઈપમાં પાણી આવી રહ્યું નથી અને લોકોને પીવાના પાણી માટે ઢોરના અવેડામાંથી પાણી ભરીને પીવું પડે છે, ત્યારે હાલની સ્થિતિએ જો પીવાનું પાણી નહિ મળે તો ગામ લોકોને પાણી માટે ગામ છોડવું પડે તેવી સ્થિતિ નું નિર્માણ થશે,

રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ગામડાઓમાં હાલ પીવાના પાણીને લઈને મોટી મુશ્કેલી સર્જાઈ છે, તેમાં પણ તાલુકાના લાખાવાડ ગામની વાત કરી એ તો 4 હજારની વસ્તી ધરાવતું ગામ ખેતીવાડી કરતા લોકોના ગામની હાલત વધુ ખરાબ છે, ગામ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે, અહીં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા છે, પીવાના પાણી માટે ખેતરે ખેતરે ભટકવું પડે છે અને આખા પરિવારે પીવાના માટે મહેનત કરવી પડે છે, આમ છતાં પાણી નહિ મળતા દુષિત ભૂગર્ભ જળ પણ પીવાનો વારો આવે છે, અને ઘણા દિવસો તો પશુ અને ઢોર માટે જે અવેડામાં પાણી ભર્યું હોય તેમાંથી પાણી લઈને પીવાનો વારો આવે છે એક તરફ જોઈ તો મોટી લાખાવાડ ગામના લોકો અને પશુઓ એક સાથે એક જ જગ્યા એ પાણી પી રહ્યા છે, પીવાના પાણીને લઈને મોટી મોટી વાતો કરતી સરકારના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે અને લોકો હવે પીવાના પાણી માટે સરકાર સામે આશ લગાવીને બેઠા છે.

લાખાવાડ ગામના લોકોનો પાણી માટેનો પોકાર કોઈ સાભળવા તૈયાર નથી. આમ તો વિછિયા તાલુકાના ગામડાના લોકોને પીવાના પાણી માંટે સરકાર દ્વારા નર્મદાની પાઇપ લાઈન આપી છે. પરંતુ પાણી આવતું નથી ત્યારે અહીંના લોકો દ્વારા સરકારમાં અને સ્થાનિક નેતા અને અધિકારીઓને વારંવારની રજૂઆતનું કોઈ પરિણામ આવતું નથી અને સરકાર અને નેતાના વચનો માત્રને માત્ર પોકળ સાબિત થઇ રહ્યાં છે અને પાણી માટેની લોકોની તરસ કોઈને દેખાતી નથી.

લોકો પાણીનો પ્રશ્ન લઈને કોની પાસે જાય તે મોટો પ્રશ્ન છે ત્યારે પાણી માટે સંઘર્ષ કરતા લોકોને નર્મદાનું પીવા માટેનું પાણી નહીં મળે તો મજબૂર બની પીવાના પાણી માટે ગામ છોડવું પડશે તેવી સ્થિતિ સર્જાઈ તો નવાઈ નહિ.

(4:46 pm IST)