Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

૩ દિ' પહેલા અજાણ્‍યાએ પથ્‍થરથી કરેલા હુમલામાં ઘાયલ યુવાનનું મોતઃ બનાવ હત્‍યામાં પરિણમ્‍યો

કાલાવડના ચારણ પીપળીયામાં રસિક રામાણીની વાડીનો બનાવ : મુળ મધ્‍યપ્રદેશના રવિએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ હત્‍યા કોણે શા માટે કરી? તે અંગે રહસ્‍ય

રાજકોટ તા. ૧: કાલાવડના ચારણ પીપળીયા ગામે રસિકભાઇ લવજીભાઇ રામાણીની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશ અલીરાજપુરના વતની રવિ મોહનસિંગ બધેલ (ઉ.૨૫) નામના યુવાન પર ત્રણ દિવસ પહેલા અજાણ્‍યા શખ્‍સોએ પથ્‍થરથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું રાત્રીના મોત નિપજતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ મુળ એમપી અલીરાજપુરનો રવિ બધેલ કેટલાક સમયથી ચારણ પીપળીયા ગામે વાડીમાં રહી મજૂરી કરતો હતો. ગત ૨૮મીએ રાત્રીના સમયે તે વાડીએ એકલો હતો ત્‍યારે કોઇએ તેના પર હુમલો કરી પથ્‍થરથી ઇજા પહોંચાડી હતી. ૨૯મીએ સવારે બાજુની વાડીનો મજૂર આટો મારવા આવતાં રવિને લોહીલુહાણ અને બેભાન જોતાં વાડી માલિકને જાણ કરી હતી. રવિને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. તેનું બેભાન હાલતમાં જ ગત મોડી રાતે મોત નિપજ્‍યું હતું.

રવિ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. તેને બે પુત્ર અને બે પુત્રી છે. થોડા સમય પહેલા જ તેની પત્‍નિ મનિષા ડિલીવરી કરવા વતન ગઇ હતી. રવિની હત્‍યા કોણે અને શા માટે કરી? તે અંગે રહસ્‍ય સર્જાયુ હોઇ કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:31 pm IST)