Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પેગાસસનો ઉપયોગ નહી કરી શકે વિશ્વભરની સરકારો

વિવાદ થતા કંપનીએ લગાવી રોક

નવી દિલ્હી તા. ૩૦ : ઇઝરાયલની સાઇબર સિકયુરિટી ફર્મ એનએસઓએ વિશ્વભરની સરકારોના પેગાસસ સ્પાઇવેર વેચવા પર રોક લગાવી દીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત સહિત કેટલાક દેશમાં આ સ્પાઇવેરના ખોટા ઉપયોગને લઇને થયેલા વિવાદ બાદ કંપનીએ આ નિર્ણય કર્યો છે. આ સ્પાઇવેરનો ઉપયોગ કરનારા સરકારી કલાયન્ટને જ ઇઝરાયલની કંપની તરફથી સેવા આપવામાં આવતી હતી પરંતુ વિવાદ બાદ તેની પર રોક લગાવી દેવામાં આવી છે. એનએસઓના એક કર્મચારીએ અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયોને જણાવ્યુ કે સરકારી કલાયન્ટને બ્લોક કરી દેવામાં આવ્યા છે.

જોકે, કંપનીના કર્મચારી તરફથી આ જાણકારી આપવામાં આવી નથી કે કઇ સરકારોને કંપનીએ આ સ્પાઇવેર વેચ્યુ છે અને કોની પર આ રોક લગાવવામાં આવી છે. કંપની તરફથી આ નિર્ણય ઇઝરાયલની ઓથોરિટી તરફથી એનએસઓના કાર્યાલય પર તપાસ માટે પહોચ્યાના એક દિવસ બાદ લગાવવામાં આવ્યો છે. ભારત સહિત કેટલાક દેશોના મીડિયા સંસ્થાઓએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે પેગાસસનો ઉપયોગ કરીને ૫૦,૦૦૦થી વધુ લોકોની જાસૂસી કરવામાં આવી છે. આ લોકોમાં વિપક્ષી નેતા, પત્રકાર, સુરક્ષા એજન્સીના અધિકારી સહિત કેટલાક લોકો સામેલ છે. ૧૮ જુલાઇએ પ્રકાશિત થયેલા આ રિપોર્ટ બાદ ભારતમાં પણ વિવાદ થઇ રહ્યો છે.

આટલુ જ નહી સંસદના બન્ને સદનમાં મોનસૂન સેશનમાં હંગામો ચાલુ છે. એનએસઓના કર્મચારીએ નામ ના જણાવવાની શરત પર કહ્યુ, કેટલાક કલાયન્ટને લઇને તપાસ ચાલી રહી છે, જેમાંથી કેટલાક કલાયન્ટને આપવામાં આવી રહેલી સર્વિસને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જોકે, તેમણે એમ નથી જણાવ્યુ કે કયા દેશોની સરકાર અને તેમની એજન્સીઓ પર રોક લગાવવામાં આવી છે. કર્મચારીએ કહ્યુ કે ઇઝરાયલી ડિફેન્સ મિનિસ્ટરે કંપની પર કલાયન્ટનુ નામ જાહેર કરવા પર રોક લગાવી છે. એનએસઓની આંતરિક તપાસમાં એવા કેટલાક લોકોના ફોન નંબરોને પણ ચેક કરવામાં આવ્યા છે જેમણે સંભવિત ટાર્ગેટની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

(4:04 pm IST)