Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પટિયાલામાં ઈન્ટરનેટ બંધ, ૩ પોલીસ અધિકારીને હટાવાયા

પટિયાલામાં અથડામણને લઈને તણાવઃશિવસેના-ખાલિસ્તાની સમર્થકો વચ્ચે અથડામણ બાદ શહેરમાં ૧૦ કંપનીઓ તૈનાત : પોલીસે ફ્લેગ માર્ચ કરી પટિયાલા,

પટિયાલા ખાતે ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ દરમિયાન શિવસેનાના કાર્યકરો અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે શુક્રવારના રોજ થયેલી અથડામણ બાદ શહેરમાં તણાવ વ્યાપ્યો છે. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પટિયાલામાં ૯:૩૦થી ૬:૦૦ વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. પંજાબ સરકારના ગૃહ વિભાગે અફવાઓ ફેલાતી અટકાવવા માટે આદેશ બહાર પાડ્યા છે. જ્યારે પટિયાલા આઈજી રાકેશ અગ્રવાલને હટાવાયા બાદ સીનિયર એસપી અને સિટી એસપીને પણ હટાવી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, મુખવિંદર સિંહ ચિન્નાને પટિયાલાના નવા આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે દીપક પારિકને પટિયાલાના સીનિયર એસપી અને વજીર સિંહને પટિયાલાના નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં ૧૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે.

હિંદુ સંગઠનોએ આજે પટિયાલા બંધ રાખવા માટે આહવાન આપ્યું છે. આ સાથે જ કાલી માતાના મંદિર પર હુમલો કરનારા દોષીઓની ધરપકડ કરવાની માગણી સાથે ધરણાં અને રોષ માર્ચનું પણ આહવાન કર્યું છે. હિંદુ સંગઠનની આ પ્રકારની જાહેરાત બાદ શહેરમાં સાવધાનીના પગલારૂપે મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.

હિંદુ સંગઠનો એવા ખાલિસ્તાન સમર્થકોની ધરપકડની માગણી કરી રહ્યા છે જેમણે કાલી માતાના મંદિરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો હતો અને પરિસરની આજુબાજુ પથ્થરમારો કર્યો હતો. માર્ચની આગેવાની કરનારા હરીશ સિંગલાની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાને પટિયાલામાં ધ્યાનમાં રાખીને પ્રશાસને શુક્રવારે સાંજે ૭:૦૦ વાગ્યાથી શનિવારના સવારના ૬:૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કર્યો હતો.

શિવસેના હિંદુસ્તાન નામના એક હિંદુ સંગઠને સમગ્ર ઘટનાના વિરોધમાં ૩૦મી એપ્રિલના રોજ પટિયાલા બંધનું આહવાન આપ્યું છે. શિવસેના હિંદુસ્તાનના રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ગુપ્તાએ જણાવ્યું કે, ખાલિસ્તાન સામેની માર્ચને કાલી દેવીના મંદિર સાથે કશું જ નહોતું લાગતું વળગતું. ખઆલિસ્તાન સમર્થકોએ મંદિર પર હુમલો કરીને મંદિરની બેઅદબી કરી છે. તેમણે ખાલિસ્તાન સમર્થકો વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરીને બંધનું એલાન આપ્યું છે.

એક દિવસ પહેલા શિવસેના (બાલાસાહેબ)ના કાર્યકારી અધ્યક્ષ હરીશ સિંગલાએ ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, શિવસેના પંજાબને ખાલિસ્તાન નહીં બનવા દે. સિંગલાની જાહેરાત પ્રમાણે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો નિર્ધારિત જગ્યાએ એકઠા થયા હતા અને ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ યોજી હતી.

તે માર્ચમાં સામેલ થયેલા લોકો ખાલિસ્તાન વિરોધી નારા લગાવતા ચાલી રહ્યા હતા તે સમયે ખાલિસ્તાન સમર્થક સંગઠનો તેમના વિરોધમાં ઉતર્યા હતા. તેઓ ખાલિસ્તાનના સમર્થનામાં નારેબાજી કરવા લાગ્યા હતા અને બંને જૂથ સામસામે તલવારબાજી પર ઉતરી આવ્યા હતા. 

 

(8:35 pm IST)