Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

શું આપના ફોનમાં પણ છે ડ્યૂઅલ સીમ તો તરત થઈ જાઓ સાવધાન: ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ગત મહિને સાયબર ઠગોએ બંધ સિમ કાર્ડને ફરીથી ઈશ્યૂ કરાવીને લાખોની છેતરપિંડી કરી

તમે તમારા ફોનમાં બીજું સિમ રિચાર્જ કરવાનું ભૂલી જાઓ છો અને રિચાર્જ કરવુ આપના માટે માથાના દુખાવા સમાન છે તો તમારી આ આદત સાયબર ધૂતારાઓ માટે વરદાનથી ઓછી નથી

નવી દિલ્હી: હાલના આ ડિજિટલ યુગમાં દેશમાં મોટાભાગે લોકો ઈન્ટરનેટ તેમજ સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરે છે. રૂપિયાની લેનદેન માટે UPIનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અને એમા પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાના માટે થઈને 2 કે તેનાથી વધુ નંબર રાખતા હોય છે. પરંતુ જો ડ્યૂલ સિમવાળા ફોનમાં જો તમે તમારો બીજો નંબર રિચાર્જ કરાવવાનું ભૂલી ગયા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે.

આપની ભૂલ ધૂતારાઓ માટે વરદાન

જો તમે તમારા ફોનમાં બીજું સિમ રિચાર્જ કરવાનું ભૂલી જાઓ છો અને રિચાર્જ કરવુ આપના માટે માથાના દુખાવા સમાન છે તો તમારી આ આદત સાયબર ધૂતારાઓ માટે વરદાનથી ઓછી નથી. નાની બેદરકારીના કારણે તમે તમારી જીવનભરની કમાણી ગુમાવી શકો છો. છેલ્લા કેટલાક સમયથી દેશમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં લોકોએ પોતાનું બીજું સિમ રિચાર્જ કરવાનું બંધ કરી દીધું હોય પછી તે સિમ એક સાયબર ઠગના હાથમાં આવી ગયું અને તેણે આખું એકાઉન્ટ સાફ કરી નાખ્યું.

યુપીમાં બની અનેક ઘટના

ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ગત મહિને આવા અનેક કિસ્સા બન્યા હતા. જ્યાં સાયબર ઠગોએ બંધ સિમ કાર્ડને ફરીથી ઈશ્યૂ કરાવીને લાખોની છેતરપિંડી કરી હતી. લખનૌ પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપી ફર્જી કેવાયસીથી બંધ સિમ ખરીદીને છેતરપિંડી કરી રહ્યા હતા.

કેવી રાતે અપાય છે આ ગુનાને અંજામ?

સાયબર ધૂતારાઓ સૌથી પહેલા નકલી આઈડીથી બંધ સિમ ખરીદે છે. ઘણી વખત એવુ પણ બને છે કે તેમની સિમકાર્ડના વિક્રેતાઓ સાથે મિલીભગત હોય.

સાયબર ધૂતારાઓ જૂનો નંબર ખરીદે છે કારણ કે મોટાભાગના લોકો પાસે આ જૂનો નંબર બેંક એકાઉન્ટ અને ઈમેલ આઈડી સાથે જોડાયેલો હોય છે. બેદરકારી કે જાણકારીના અભાવે તેઓ ફેરફાર પણ નથી કરતા.

એકવાર તેઓને સિમ મળી જાય પછી, આ ગુનેગારો આ સિમમાંથી તમારી BHIM-UPI, Paytm, Phonepay અથવા Google Pay જેવી કોઈપણ એપમાં લોગ-ઈન કરે છે.

લોગીન પછી, એપ્સ સાથે જોડાયેલો તમારો બેંકનો ખાતા નંબર અને ઈમેલ આઈડી મળી જાય છે. જો કે, આ ગુનેગારો UPIથી પૈસા ટ્રાન્સફર નથી કરતા, કારણ કે UPIથી એક દિવસમાં માત્ર 1 લાખ રૂપિયા સુધીની જ લેવડદેવડ કરી શકાય છે.

- તમારા બેંક ખાતાની વિગતો લીધા પછી આ ઠગો ઈન્ટરનેટ બેંકિંગ વેબસાઈટ પર જઈને અને ત્યાં પહેલા Forget UserID પર ક્લિક કરે છે.

બેંકની વેબસાઈટ તેઓને એકાઉન્ટ નંબર, ઈમેલ અને રજીસ્ટર્ડ ફોન નંબર દાખલ કરવાનું કહે છે, જે દાખલ કર્યા પછી બંધ સિમ પર OTP આવે છે જે બેંક સાથે રજિસ્ટર્ડ છે.

- OTP દાખલ થતાની સાથે જ આરોપીઓને ઈન્ટરનેટ બેંકિંગનું યુઝર આઈડી ખબર પડી જાય છે.

- આ પ્રક્રિયામાં આરોપીઓ ફોરગોટ પાસવર્ડ વિકલ્પનો ઉપયોગ કરીને નવો પાસવર્ડ જનરેટ કરે છે.

પછી, સાયબર લૂંટારાઓ ઈન્ટરનેટ બેંકિંગથી તમારું એકાઉન્ટ ખોલે છે અને સાફ કરી નાખે છે.

(11:19 am IST)