Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી મુકેશ આર. શાહ શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટની મુલાકાતે

રાજકોટ તા. ૨૬ : શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટના સેવા કાર્યથી પ્રભાવિત થઇને હૃદયથી હું આ સંસ્થા સાથે જોડાયેલ છું. આ વાકય સુપ્રિમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહએ હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન કહ્યા હતા.

તેમની સાથે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ શ્રી ઇલેશ વોરા પણ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના કલેકટરશ્રી અરૂણ બાબુ અને પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ પણ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સત્ય સાઇ બાબાના અનુયાયી એવા શ્રી એમ.આર.શાહ સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉમદા રસ ધરાવે છે અને સેવાના કાર્યમાં તેઓ તન, મન અને ધનથી જોડાયેલ છે.

તેમણે કહેલ કે, કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે શ્રી સત્ય સાઇ બાબાના આશિર્વાદની જરૂર છે. તેમણે આનંદ વ્યકત કર્યો કે, હોસ્પિટલના એક પણ ઝાડને નુકસાન કર્યા વગર હોસ્પિટલમાં નવી સુવિધાઓ વધારવામાં આવશે.

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વાતચીતમાં શ્રી એમ.આર. શાહએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરથી બચવા સાઇ બાબા જેવા મહાન સંતોના આશિર્વાદની જરૂર છે.

હોસ્પિટલ જ્યારે ૨૧ વર્ષ પછી નવી રીતે આકાર લઇ રહી છે ત્યારે માનનીય જસ્ટીસ શ્રી મુકેશભાઇ શાહે ઝીણવટપૂર્વક હોસ્પિટલની નવી સુવિધાનો અભ્યાસ કર્યો હતો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી કે તેઓ વધુ માત્રામાં ગરીબ દર્દીઓની સેવા કરી શકે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:29 pm IST)