Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સતત બીજા દિવસે ૪૦ હજારથી વધુ લોકો સંક્રમિતઃ ૨૪ કલાકમાં ૪૯૬ દર્દીનાં મોત

કેરળમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ, એક દિવસમાં ૩૦ હજાર લોકો સંક્રમિતઃ મહારાષ્ટ્રમાં પણ સંકટના વાદળો

નવી દિલ્હી, તા.૨૭: દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૪૦ હજારથી વધુ નોંધાઈ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો મહારાષ્ટ્રમાં પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. અહીં એક દિવસમાં ૫૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એકંદરે કાબૂમાં છે. અહીં એક દિવસમાં ૧૬ લોકો સંક્રમિત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૬૫૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૬,૦૩,૧૮૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૬૧,૨૨,૦૮,૫૪૨ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૯,૪૮,૪૩૯ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યારે કોરોનાના ૩,૪૪,૮૯૯ એકિટવ કેસ

કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૮ લાખ ૨૧ હજાર ૪૨૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૨,૯૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૪૪,૮૯૯ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૮૬૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૧,૪૯,૫૪,૩૦૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૮,૨૪,૯૩૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં

ગુજરાતમાં કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિ દ્યણે અંશે કાબૂમાં છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ નવા કેસ નોંધાયા છે.

રાજયમાં હાલ ૧૫૭ એકિટવ કેસ છે અને ૪ દર્દી વેન્ટિલેટર પર છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં ૪ કરોડ ૪૫ લાખથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૮૦ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઈ ચૂકયા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી.

(11:45 am IST)