Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ગૌહત્યા કરશો તો માર ખાઇને મરી જશો

ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

અલવર તા. ૨૫ : પોતાના વિવાદસ્પદ નિવેદનો માટે જાણીતા ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા ફરીથી ચર્ચામાં છે. રાજસ્થાનના ધારાસભ્ય આહુજા ફરી એકવખત પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગૌહત્યા કરનારા એમ જ મરશે. આહુજાનું આ નિવેદન અલવર જિલ્લાના રામગઢ વિસ્તારમાં કથિત ગૌરક્ષકો દ્વારા ઝાકિર ખાન નામના એક ગો-તસ્કરની મારપીટના મામલામાં આવ્યું છે. શનિવારના રોજ આ મામલો સામે આવ્યો હતો. આ અંગે ધારાસભ્ય આહુજાએ કહ્યું કે 'ગૌહત્યા કરશો, તો માર ખાઇને મરી જશો'.

મળતી માહિતી પ્રમાણે આહુજાએ આ મામલા પર કહ્યું કે ગૌતસ્કરોની ગાડીને જયારે ચારેબાજુથી ઘેરી લેવામાં આવી તો ગાડી પલટી ગઇ. ગાડી પલટી જવાના લીધે બે તસ્કરો ખેતરમાંથી ભાગી ગયા. એકને ઇજા થઇ અને બીજાએ બ્હાનું બનાવતા કહ્યું કે તેને ગામવાળાઓએ માર્યો. મારું તો સીધે સીધું કહેવું છે કે ગૌતસ્કરી કે ગૌહત્યા કરશો તો એમ જ મરી જશો. ભાજપના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે અલવર અને ભરતપુર જિલ્લામાં હરિયાણાના ગૌ તસ્કર રાજસ્થાનના મારવાડ અને મેવાડથી લઇ દૂર-દૂરથી ગાયોની તસ્કરી કરીને લાવે છે.

અલવરના રામગઢ વિસ્તારમાં ગાયો લઇ જઇ રહેલા ગૌ તસ્કરોની સાથે યાદવ નગર ગામમાં કથિત ગૌરક્ષકોએ જોરદાર મારપીટ કરી. આ મારપીટમાં ઝાકિર ખાન નામનો વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેની સ્થિતિ ગંભીર જણાતા તેને અલવર રેફર કરાયો હતો. આપને જણાવી દઇએ કે જ્ઞાનદેવ આહુજા જેએનયુને લઇ આપેલા પોતાના કોન્ડોમવાળા વિવાદાસ્પદ નિવેદનને લઇ પણ ચર્ચામાં આવ્યા હતા.

(3:58 pm IST)