Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ઈંગ્લેન્ડમાં ફરવા નીકળી પડેલા વિરાટ-રોહિતથી બોર્ડ નારાજ

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે પહોંચી ગઈ : કોહલી અને રોહીતે ફોટો પડાવતી વખતે માસ્ક પણ નહોતા પહેર્યા, આ મુદ્દા પર ખેલાડીઓ સાથે બોર્ડ દ્વારા વાત કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૧ : ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે પહોંચી ગઈ છે. જ્યાં તે ૨૪ જૂનથી વોર્મ અપ મેચ રમીને પ્રવાસનો પ્રારંભ કરશે.

જોકે આ મેચ પહેલા ભારતના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા જે રીતે ફરવા નિકળી પડ્યા હતા અને તેમણે જે રીતે ફેન્સ સાથે તસવીરો ખેંચાવી હતી તેનાથી ભારતનુ ક્રિકેટ બોર્ડ નારાજ થયુ છે.

કોહલી અને રોહીતે ફોટો પડાવતી વખતે માસ્ક પણ નહોતા પહેર્યા. બીસીસીઆઈના ખજાનચી અરુણ ધુમલે કહ્યુ હતુ કે, આ મુદ્દા પર ખેલાડીઓ સાથે વાત કરવામાં આવશે. કારણકે બ્રિટનમાં કોરોનાનો ખતરો ઓછો થયો છે પણ ખેલાડીઓએ તકેદારી રાખવી જોઈએ.અમે ટીમને ધ્યાન રાખવા માટે કહીશું.ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડમાં કોઈ બાયોબબલ નથી રાખવામાં આવ્યુ પણ કોરોનાના કેસ અહીંયા સામે આવી રહ્યા છે. રોજના ૧૦૦૦૦ નવા દર્દીઓ કોરોનાથી ઈન્ફેક્ટ થઈ રહ્યા છે.

તાજેતરમાં ન્યૂઝીલેન્ડની ટીમને પણ કોરોનાના કારણે નુકસાન ઉઠાવવુ ડ્યુ હતુ. તેના ત્રણ પ્લેયરોને કોરોના થઈ ગયો હતો અને તેની અસર ન્યૂઝીલેન્ડની રમત પર પણ પડી હતી. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરિઝ ૨-૦થી ગુમાવી ચુકયુ છે.

 

(7:56 pm IST)