Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૧૪૦ દિવસ બાદ એકિટવ કેસ સૌથી ઓછા નોંધાયા

૨૪ કલાકમાં કોરોના કેસો ફરી વધ્યાઃ ૩૮,૩૫૩ લોકો થયા સંક્રમિતઃ ૪૯૭ દર્દીનાં મોતઃ ૨૪ કલાકમાં ૪૦ હજાર દર્દી સાજા થયા

નવી દિલ્હી, તા.૧૧: દેશમાં કોરોના મહામારીને લઈને થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૮૬ હજાર કોવિડ દર્દીના એકિટવ કેસ નોંધાયા છે જે ૧૪૦ દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત રિકવરી રેટ માં પણ સુધારો થતાં તે ૯૭.૪૫ ટકા થઈ ગયો છે. પરંતુ મંગળવારના દિવસ દરમિયાન ૩૮ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે જે ચિંતાનું કારણ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૩૫૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૪૯૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૦,૩૬,૫૧૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૧,૯૦,૮૦,૫૨૪ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના ૨૪ કલાકમાં ૪૧,૩૮,૬૪૬ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૨ લાખ ૨૦ હજાર ૯૮૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૪૦,૦૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે. હાલમાં ૩,૮૬,૩૫૧ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૯,૧૭૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૦ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૫૦,૫૬,૫૦૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૭૭,૯૬૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના સંકટ વિશે વાત કરીએ તો, રાજયમાં કોરોના વાયરસના ૨૧ કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૧ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૨૪ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજયનો રિકવરી રેટ સુધરીને ૯૮.૭૫ ટકા થયો છે.

કોવિડ-૧૯દ્ગક્ન કારણે રાજયમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે ૮,૧૪,૮૦૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

(11:26 am IST)