Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

અફઘાનમાંથી ભારતીયોને કાઢવા સરકારનો નિર્ણય

અફઘાન સેના-તાલીબાનો વચ્ચે યુધ્ધ : ભારત વાયુસેનાના ખાસ વિમાનને મઝાર-એ-શરીફ મોકલશે, અગાઉ ભારતે અનેકને પાછા બોલાવી લીધા

મઝાર-એ-શરીફ, તા.૧૦ : અફઘાનિસ્તાનના છ રાજ્યો પર કબજો કરી ચૂકેલા તાલિબાની આતંકવાદીઓ હવે તઝાકિસ્તાન નજીકના અફઘાનિસ્તાનના શહેર મઝાર-એ-શરીફ સુધી પહોંચી ગયા છે. અફઘાન સેના અને તાલિબાન વચ્ચે મઝાર-એ-શરીફની બહારના વિસ્તારમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ મહાસંકટને જોતા ભારતે મઝાર-એ-શરીફમાં સક્રિય પોતાના એકમાત્ર કોન્સ્યુલેટમાંથી પણ કર્મચારીઓ અને કેટલાક ભારતીય નાગરિકોને નીકાળવાનો નિર્ણય કર્યો છે.

તેના માટે ભારત વાયુસેનાના ખાસ વિમાનને મઝાર-એ-શરીફ મોકલશે. ભારતીય કોન્સ્યુલેટએ એક ટ્વીટ કરી મઝાર-એ-શરીફ અને તેની આસપાસ રહેલા ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે, આ ખાસ વિમાનમાં બેસી નીકળી જાય. કોન્સ્યુલેટે કહ્યું છે કે, આ વિશેષ વિમાન આજે સાંજે મઝાર-એ-શરીફથી નવી દિલ્હી જશે.

 ભારતીય નાગરિકોને કહેવાયું છે કે, જે લોકો નીકળવા માગે છે કે, તે પોતાની બધી ડિટેઈલ મોકલી દે. આ પહેલા ભારતે અફઘાનિસ્તાનમાં સક્રિય ઘણી કોન્સ્યુલેટમાં તૈનાત કર્મચારીઓને નીકાળી લીધા હતા. જોકે, મઝાર-એ-શરીફમાં ભારતીય હજુ પણ છે. હવે, હાલમાં શરૂ થયેલી હિંસા પછી ભારત ત્યાંથી પણ પોતાના રાજદ્વારીઓને નીકાળી રહ્યું છે.

આ દરમિયાન સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, કાબુલમાં ભારતીય એમ્બેસીમાં કર્મચારી હજુ પણ રહેશે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પરત ગયા બાદ તાલિબને ભીષણ હુમલા શરૂ કરી દીધા છે અને દેશના મોટાભાગના વિસ્તારો પર હવે તેનો કબજો થઈ ગયો છે. એટલું જ નહીં, તાલિબાને દેશના ૬ રાજ્યોના પાટનગરો પર કબજો કરી લીધો છે.

હવે આ આતંકવાદીઓ મઝાર-એ-શરીફ તરફ આગળ વધી રહ્યા છે. તાલિબાને સોમવારે દેશના ઉત્તર વિસ્તારના સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ તરફ હુમલા કરવાનું શરૂ કરી દીધું. તાલિબાને એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તેણે ચારે તરફથી મઝાર-એ-શરીફ પર હુમલા શરૂ કર્યા છે. આ દરમિયાન મઝાર-એ-શરીફના લોકોનું કહેવું છે કે, તાલિબાન મીઠું-મરચું નાખીને દાવા કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ખોટો પ્રચાર કરીને તાલિબાન લોકોને ડરાવવા માંગે છે.

(12:00 am IST)