Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઔરંગાબાદમાં ડુંગળીનો ભાવ કિલોએ ૭૫ પૈસા, ખેડૂતો ચિંતિત

મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોની સ્થિતિ ખરાબ : પ્રતિ કિલો ડુંગળી ઉગાડવા ૧૫ થી ૧૮ ખર્ચવા પડે છે અત્યારે તેની સામે ખેડૂતોને ઓછા પૈસા મળી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૦ : કેરાલા, યુપી અને બિહાર, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ખેડૂતોને ડુંગળી માટે સારા ભાવ મળી રહ્યા છે ત્યારે દેશમાં કુલ ડુંગળીનુ ૪૦ ટકા ઉત્પાદન કરતા મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં તો એક તબક્કે એક કિલો ડુંગળીનો ૭૫ પૈસા ભાવ રહ્યો હતો. નાસિક જિલ્લામાં પણ ખેડૂતોને મળી રહેલા સાવ ઓછા ભાવ ચિંતાનો વિષય છે.

મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક સંગઠનના અધ્યક્ષ ભારત દિધોલેનુ કહેવુ છે કે, મહારાષ્ટ્રથી ડુંગળી  માટે કેરાલા અને કર્ણાટક સુધી ટ્રેન ચલાવવામાં આવે. જેથી ખેડૂતોને તેમણે ડુંગળીની ખેતી માટે ખર્ચેલા પૈસા તો કમસે કમ મળી રહે. ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળી ઉગાડવા માટે ૧૫ થી ૧૮ રુપિયા ખર્ચવા પડે છે અને અત્યારે તેની સામે ખેડૂતોને પ્રતિ કિલો ૧ રૃપિયાથી ચાર રૃપિયા મળી રહ્યા છે. આથી આ ડુંગળી એવા રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે જ્યાં ડુંગળીના સારા ભાવ મળી શકે.

તેમનુ કહેવુ છે કે, જો મહારાષ્ટ્ર સરકાર ડુંગળીના સારા ભાવ ના અપાવી શકે તો તેમણે ડુંગળીના સ્ટોરેજ બનાવવા માટે મદદ આપવી જોઈએ. સ્ટોરેજ બનાવવા માટે રાજ્ય સરકારે ૮૭૦૦૦ રુપિયાની જગ્યાએ ૨ લાખ રૃપિયા પ્રતિ ખેડૂત મદદ કરવી જોઈએ. જેથી ખેડૂતોને સ્ટોરેજના અભાવે મજબૂરીમાં સસ્તા ભાવે ડુંગલી વેચવી ના પડે.

સરકારે ૨૦૨૧-૨૨માં ૩૧.૧ મિલિયન ટન ડુંગળીના અનુમાનનો અંદાજ લગાવ્યો છે. આમ આ વર્ષમાં ઉત્પાદન વધ્યુ છે અને તેના કારણે મહારાષ્ટ્રના ખેડૂતો ઉંધા માથે પછડાયા છે.

(7:47 pm IST)