Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પટેલ-પાટિલની જોડીની જમાવટઃ ૫ લાખની મેદની ગૌરવની વાત

અમે લોકોનું ભલુ કરવા આવ્‍યા છીએઃ ચૂંટણી જીતવા કામ નથી કરતા, લોકો અમને જાતે જ જીતાડે છેઃ વડાપ્રધાન મોદી : મેં ઘણા વર્ષ મુખ્‍યમંત્રી તરીકે કામ કર્યુ પણ આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન્‍હોતો થયોઃ ડબલ એન્‍જીનની સરકાર ગુજરાતનું ગૌરવ વધારી રહી છે : નવસારીમાં ૩૦૫૦ કરોડની યોજનાઓનું ઉદઘાટન- શિલાન્‍યાસ કરતા પીએમ

નવી દિલ્‍હી, તા.૧૦: વડાપ્રધાને આજે પોતાની ગુજરાતની મુલાકાત દરમ્‍યાન રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ભરપેટ વખાણ કર્યા છે અને આ જોડીએ જમાવટ કરી છે તેવુ જણાવ્‍યુ છે નવસારીના ખુડવેલ ખાતે ૩૦૫૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યા બાદ જંગી મેદનીએ સંબોધન કરતા કહ્યું હતુ કે હું જયારે મુખ્‍યમંત્રી હતો ત્‍યારે પણ આટલી વિશાળ પ લાખની મેદની ઉમટી એ ગૌરવની વાત છે. મુખ્‍યમંત્રી અને પ્રદેશ પ્રમુખની જોડીએ આ સફળ બનાવ્‍યુ છે. આ જોડીએ લોકોમાં વિશ્‍વાસ જગાવ્‍યો છે. હું CM હતો ત્‍યારે કદી આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન્‍હોતો થયો આજે ૫ લાખ લોકો આવ્‍યા છે તેમણે કહ્યું હતુ કે અમે ચૂંટણી જીતવા નથી આવતા, લોકો અમને જીતાડે છે અમારે મત સત્તામાં બેસવુ એટલે સેવા કરવાનો અવસર છે

વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના નવસારીમાં રૂ. ૩૦૫૦ કરોડની યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્‍યાસ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત વિશેષ ગુજરાત ગૌરવ અભિયાનમાં તેમણે જણાવ્‍યું હતું કે, ડબલ એન્‍જિનની સરકાર ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.

PM મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં થયેલો ઝડપી વિકાસ ગુજરાતનું ગૌરવ છે. દરેક વ્‍યક્‍તિનો વિકાસ છે અને આ વિકાસમાંથી એક નવી આકાંક્ષા જન્‍મે છે. ડબલ એન્‍જિનની સરકાર નિષ્ઠાપૂર્વક આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી રહી છે. પીએમે કહ્યું કે ‘આજે મને ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્‍ટ્‍સનું ઉદઘાટન અને શિલાન્‍યાસ કરવાની તક મળી. આ તમામ પ્રોજેક્‍ટ સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કરોડો મિત્રોનું જીવન સરળ બનાવશે. ગુજરાતની ડબલ એન્‍જિન સરકાર  સશક્‍તિકરણની ઝુંબેશમાં પૂરજોશમાં લાગેલી છે. હું ભૂપેન્‍દ્રભાઈ, સીઆર પાટીલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

PM એ કહ્યું કે આજે હું ગર્વ અનુભવી રહ્યો છું કે ગુજરાત છોડ્‍યા પછી જે લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી લીધી અને આજે જે ઉત્‍સાહ અને ઉત્‍સાહ સાથે ભૂપેન્‍દ્રભાઈ અને સીઆર પાટીલની જોડી નવો આત્‍મવિશ્વાસ જગાડી રહી છે તેનું પરિણામ છે. આજે મારી સામે ૫ લાખ લોકોનો વિશાળ સમૂહ છે.આજે ગુજરાત ગૌરવ અભિયાનમાં હું એક વાતનું વિશેષ ગર્વ લઈ રહ્યો છું. આ ગૌરવ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મેં આટલા વર્ષો સુધી મુખ્‍યમંત્રી તરીકે કામ કર્યું, પરંતુ આદિવાસી વિસ્‍તારમાં આટલો મોટો કાર્યક્રમ કયારેય બન્‍યો ન હતો.

વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લાં ૮ વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને અમારી સરકારે ગરીબોના કલ્‍યાણ પર, ગરીબોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પર સૌથી વધુ ભાર આપ્‍યો છે. તેમણે કહ્યું કે આઠ વર્ષ પહેલા તમે મને રાષ્‍ટ્ર સેવાની મારી ભૂમિકાને વિસ્‍તારવા માટે ઘણા આશીર્વાદ સાથે અને ઘણી અપેક્ષાઓ સાથે દિલ્‍હી મોકલ્‍યો હતો. છેલ્લા ૮ વર્ષમાં અમે કરોડો નવા લોકોને, ઘણા નવા ક્ષેત્રોને વિકાસના સપના અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ થયા છીએ.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના લાંબા ગાળા દરમિયાન સૌથી વધુ સરકારો ચલાવનારાઓએ વિકાસને પોતાની પ્રાથમિકતા બનાવી નથી. તેઓ એવા વિસ્‍તારોમાં વિકાસ પામ્‍યા નથી, જે વિભાગોને તેની સૌથી વધુ જરૂર હતી, કારણ કે આ કાર્ય કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.

સીએમ ભૂપેન્‍દ્ર પટેલ અને પાટિલની જોડીએ લોકોમાં વિશ્વાસ જગાવ્‍યો. પીએમે કહ્યું કે ડબલ એન્‍જિનની સરકારમાં ગુજરાતમાં સતત વિકાસ થઇ રહ્યો છે. સરકારે ગરીબો અને આદિવાસીઓને ઘર, વીજળી અને ગેસ કનેક્‍શન પહોંચાડ્‍યા. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ફરી વિપક્ષોને આડે હાથ લીધા.

પીએમે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે અગાઉની સરકારના મુખ્‍યપ્રધાનો પાણીની ટાંકીનું ઉદઘાટન કરતા. પીએમે કહ્યું કે કેટલાક વાંકદેખા લોકો એવું કહેશે કે ચૂંટણી આવે છે એટલે અમે આવ્‍યા છીએ.

જેનો શિલાન્‍યાસ કરીએ છીએ તેનું લોકર્પણ અમે જ કરીએ છીએ. પીએમ મોદીએ ભૂતકાળની સરકારો પર આકરા પ્રહાર કર્યા હતા કે આપણા બાપ-દાદાને જે મુશ્‍કેલી સર્જાઈ તેવી મુશ્‍કેલી નથી આપવી. પહેલા હેન્‍ડપંપના લોકાર્પણ થતા હતા, આજે અમનારી સરકાર નળથી જળની યોજના આપે છે.

ખુડવેલ ખાતે સી.આર.પાટીલે સંબોધનમાં જણાવ્‍યું કે પીએમ તમામ વ્‍યક્‍તિની ચિંતા કરે છે. કોરોના કપરા કાળમાં એક પણ વ્‍યક્‍તિ ભુખ્‍યો સુતો નથી. વડાપ્રધાને દરેકને મફતમાં કોરોના વેક્‍સિન આપી છે. વડાપ્રધાને જનતાને ઘણી યોજનાઓ લોકોને આપી છે.

રાજ્‍યના મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્‍યું છે.

(3:46 pm IST)