Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કાકાને કેન્દ્રમાં મંત્રીપદ મળવા સામે ચિરાગ પાસવાનની ધમકી : કહ્યું - પશુપતિ પારસને મંત્રી બનાવાશે તો તેઓ કોર્ટમાં જશે

ચિરાગે કહ્યું હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું મારી મંજૂરી વગર પાર્ટીના કોટામાંથી કોઈ સાંસદને મંત્રી બનાવવા ખોટું કામ

નવી દિલ્હી : લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને પીએમ મોદીને સીધી ધમકી આપતા જણાવ્યું કે તેમના કાકા પશુપતિ પારસને મંત્રી બનાવાશે તો તેઓ કોર્ટમાં જશે

   ચિરાગ પાસવાને કહ્યું કે હું LJP નો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. પાર્ટી મારી પણ છે. સમર્થન મારી પાસે પણ છે. મારી મંજૂરી વગર પાર્ટીના કોટામાંથી કોઈ સાંસદને મંત્રી બનાવવા ખોટું કામ છે. હાલમાં LJP નો કબજો જમાવવા કાકા પશુપતિ પારસ અને ભત્રીજા વચ્ચે લડાઈ ચાલી રહી છે. પશુપતિ પારસને કેન્દ્રમાં મંત્રી બનાવવાનું જાણીને ચિરાગે આવું નિવેદન આપ્યું છે

ચિરાગ પાસવાને એમ પણ કહ્યું છે કે વિવાદની વચ્ચે જો આવા સાંસદને મંત્રી બનાવવામાં આવે છે, જેને પાર્ટીએ કાઢી મૂક્યો છે તો એ ખોટુ ગણાશે. મને નથી લાગતુ કે પીએમ આવુ કરશે. જો આમ થયું તો હું રાજકીય અને કાયદાકીય લડાઈ લડવા તૈયાર છું. તેમણે એ વાત પણ કહી કે જો કાકા પશુપતિ પારસને મંત્રી બનવવા છે તો JDUમાં સામેલ કરીને બનાવો પરંતુ LJPના નામે નહિ.

ચિરાગે કહ્યું કે મેં પ્રધાનમંત્રી પત્ર પણ લખ્યો છે અને પશુપતિ પારસને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની અપીલ કરી છે. જો તેમને કેબિનેટમાં સમાવાશે તો હું કોર્ટમાં જઈશ.

ચિરાગ પાસવાને પ્રેસ કોન્ફરન્સમાં કટાક્ષ કર્યો કે હું દિલથી ઈચ્છું છું કે તેમને મંત્રી બનાવાય. તેમણે રાજકીય મહત્વકાંક્ષા પૂરી કરવા આટલી બધી બદનામી લીધી છે તો તેમની મનોકામના તો પૂરી થવી જોઈએ.

ચિરાગે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જો પશુપતિ પારસને એલજેપી કોટામાંથી મંત્રી બનાવાય તો હું તેનો વિરોધ કરીશ અને કોર્ટના શરણમાં ચાલ્યો જઈશ. જો તેમને જેડીયુમાં સામેલ કરીને મંત્રી બનાવાય તો મને કોઈ વાંધો નથી. પરંતુ એલજેપી કોટામાંથી મંત્રી બનાવાશે તો હું વાંધો ઉઠાવીશ.

(9:19 pm IST)