Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

SBIના રિપોર્ટથી વધી ચિંતા

ઓગસ્ટમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર : સપ્ટેમ્બરમાં હશે પીક

ઘાતક બીજી લહેર ખતમ નથી થઇ અને અનલોકમાં મળી રહેલી છૂટછાટમાં લોકો ભારે બેદરકારી દાખવી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે : રિપોર્ટમાં આશંકા વ્યકત કરવામાં આવી છે કે ત્રીજી લહેરના કેસમાં અતિશય વધારો થશે : દેશના ૧૨ રાજયોમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિયંટના ૫૧ કેસ સામે આવી ચૂકયા છે : દુનિયાના અનેક દેશોમાં ડેલ્ટા પ્લસ વેરિયંટ તબાહી મચાવી રહ્યો છે જે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર હતો

નવી દિલ્હી,તા.૬: ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર નબળી પડી રહી છે, પરંતુ કેટલાક નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની આશંકા વ્યકત કરતાં આખો દેશ ચિંતામાં સરી પડ્યો હતો. પરંતુ તાજેતરમાં આવેલા એક રિપોર્ટે સૌની ઉંઘ ઉડાવી દીધી છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં આગામી મહિને એટલે કે ઓગસ્ટના મધ્યમાં ખતરનાક કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકવાની સંભાવના છે જયારે સપ્ટેમ્બરમાં આ લહેર તેની ચમર સીમાએ હશે.

આ રિપોર્ટ SBI રિસર્ચ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા પ્રકાશિત કોવિડ-૧૯ ધ રેસ ટૂ ફિનિશિંગ લાઇન શીર્ષક વાળી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સામે રસીકરણ જ એકમાત્ર હથિયાર છે જે બચાવી શકે છે કારણ કે, વૈશ્વિક ડેટા પરથી માલૂમ પડે છે કે સરેરાશ ત્રીજી લહેરના કેસ બીજી લહેરના કેસથી ૧.૭ ગણા વધારે હશે.

બીજી તરફ રસીકરણ અભિયાનનો ડેટા જોઇએ તો દેશમાં માત્ર ૪.૬ ટકા વસ્તીનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે. જયારે ૨૦.૮ ટકાને પહેલો ડોઝ મળ્યો છે. અમેરિકામાં આ પ્રમાણ ૪૭.૧ ટકા, ઇઝરાયલમાં ૫૯.૮ ટકા, સ્પેનમાં ૩૮.૫ ટકા, ફ્રાન્સમાં ૩૧.૨ ટકા અને અન્ય દેશોની સરખામણીએ ભારત બહુ પાછળ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગ્રુપના ચીફ ઇકોનોમિક એડવાઇઝર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે ભારતમાં ૭ મેના રોજ કોરોનાની બીજી લહેર તેની ચરમ સીમાએ હતી અને વર્તમાન આંકડા મુજબ જુલાઇના બીજા અઠવાડિયામાં દેશભરમાં ૧૦,૦૦૦ કેસની સંભાવના છે.

તેમનું કહેવુ હતું કે, પરિણામોને આધારે આશંકા વ્યકત કરી શકાય કે સપ્ટેમ્બરના મધ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેની ચરમ સીમાએ હશે. દેશમાં દૈનિક કેસનો આંકડો પણ દર્શાવે છે કે, ઘાતક બીજી લહેર ખતમ નથી થઇ. આ સિવાય દેશના ૧૨ રાજયોમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિયંટના ૫૧ કેસ સામે આવી ચૂકયા છે. જે દેશ માટે ચિંતાનો વિષય છે. મોટાભાગના કેસ શહેરી વિસ્તારોમાંથી સામે આવ્યા હતા.

તેમનું કહેવુ છે કે આ સામે રસીકરણ જ એકમાત્ર ઉપચાર છે. દેશમાં દૈનિક સ્તરે ૪૦ લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર રાજસ્થાનન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કેરલ અને ઉત્ત્।રાખંડ જેવા રાજયોમાં ૬૦ વર્ષથી વધુ વયના મોટાભાગના લોકોને રસીનો પહેલો ડોઝ લગાવી દેવાયો છે, પરંતુ ગામડાઓમાં આ પ્રમાણ ઓછુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશના અનેક રાજયોમાં રસીકરણની ઝડપ વધારવાની જરુર છે. જયારે અન્ય દેશોમાં વર્તમાન સ્થિતિને જોતાં રિપોર્ટમાં રસીકરણ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ અને અન્ય પ્રોટોકોલ્સનું ફરજિયાત પાલન કરવા પર જોર આપવામાં આવ્યું છે.

જોકે દેશમાં ચિંતાનો સૌથી મોટો વિષય એ છે કે બીજી લહેરના નબળા પડતાં જ મળેલી છૂટછાટમાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. દિલ્હીના માર્કેટ હોય કે દેશના પર્યટન સ્થળો પર લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. જયાં કોરોના પ્રોટોકોલ્સનું કોઇ પાલન કરવામાં આવતું નથી. દેશના અનેક લોકપ્રિય પર્યટન સ્થળો પર દેશવાસીઓની મોટી ભીડ કોરોના લહેરની સંભવિત ત્રીજી લહેર માટે જવાબદાર સાબિત થઇ શકે એવી આશંકા છે.

(10:28 am IST)