Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદી અને મમતા બેનર્જી માટે મોકલી 2600 કિલો કેરી

રંગપુર ક્ષેત્રમાં ઉત્તપન્ન થતી હરિભંગા વેરાયટીની કેરી બેનાપોલ ચેકપોઈન્ટથી સરહદ પાર પહોંચી : બાંગ્લાદેશથી ટ્રક 260 ડબ્બામાં આ કેરી લઈ આવ્યો

નવી દિલ્હી : બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ મમતા બેનર્જી અને પીએમ મોદી બન્નેને કેરીની ભેટ મોકલી છે. શેખ હસીનાએ રવિવારે બન્ને નેતાઓ માટે 2600 કિલો કેરી મોકલી છે.

રંગપુર ક્ષેત્રમાં ઉત્તપન્ન થતી હરિભંગા વેરાયટીની કેરી બેનાપોલ ચેકપોઈન્ટથી સરહદ પાર લાવવામાં આવી. રવિવારે બપોરે બાંગ્લાદેશથી ટ્રક 260 ડબ્બામાં આ કેરી લઈ આવ્યો. આ દરમિયાન સરહદ પર બાંગ્લાદેશના અધિકારીઓ પણ હાજર હતા. બેનાપોલ કસ્ટમ્સ હાઉસના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકનાએ બાંગ્લાદેશના મીડિયાને કહ્યુ કે, કેરી બન્ને દેશો વચ્ચે સૌહાર્દનું પ્રતિક છે.

કોલકત્તામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમીશનના ફર્સ્ટ સેક્રેટરી મોહમ્મદ સમિઅલ કાદરે કેરી રિસીવ કરી. તેમણે અહીંથી પીએમ મોદી અને મમતાને મોકલવાની હતી. બાંગ્લાદેશી મીડિયા પ્રમાણે મમતા જ નહીં, હસીના અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા બધા ઉત્તરપૂર્વી રાજ્યોને કેરી મોકલવા ઈચ્છતા હતા જેની સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.

હરિભંગા કેરીએ રંગપુરની અર્થવ્યવસ્થા બદલી નાખી છે. 30 હજારથી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે. જૂનના અંતમાં આ ફાઇબરલેસ કેરીની કાપણી શરૂ થાય છે. સીઝનની શરૂઆતમાં તેનો ભાવ 60થી 80 ટકે પ્રતિ કિલો હોય છે, જે જુલાઈના અંત સુધી 300-500 ટકે પ્રતિકિલો પહોંચી જાય છે. તેનો વાર્ષિક વેપાર કરોડોમાં છે. કોરોના મહામારીને કારણે તેના વેપાર પર પણ ખરાબ અસર પડી છે.

આ પહેલા મેંગો ડિપ્લોમેસી ચર્ચામાં ત્યારે આવી જ્યારે મમતા બેનર્જીએ આમના પ્રકારો- હિમસાગર, માલદા અને લક્ષ્‍મણભોગ પીએમ મોદીને મોકલી. આ સિવાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહને પણ કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને પણ કેરી મોકલી હતી

(12:00 am IST)